સુરત, 28 ઓગસ્ટ (હિ.સ.)- સુરતથી આજે સવારે દુબઈ ખાતે રવાના થયેલી ફ્લાઈટમાં મધદરિયે ટેક્નિકલ ખામી સર્જાતાં પાયલોટ દ્વારા તાત્કાલિક પ્લેનને અમદાવાદ ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. પ્લેનનાં એન્જીનની ક્ષમતામાં ખામી સર્જાતાં અમદાવાદ ખાતે લેન્ડ થયા બાદ હાલમાં ટેક્નિકલ સ્ટાફ દ્વારા પ્લેનનું ઝીવણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, આ સમસ્યાને પગલે પ્લેનમાં સવાર મુસાફરોનાં જીવ તાળવે ચોંટ્યા હતા. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બોર્ડરની નજીક પહોંચેલા પ્લેનનાં એન્જીનમાં સમસ્યાને પગલે પાયલોટ દ્વારા ત્વરિત આ નિર્ણય લેતાં મોટી હોનારત ટળવા પામી છે.
જુન મહિનામાં અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બપોરનાં સુમારે લંડન ખાતે જઈ રહેલ ફ્લાઈટ ગણતરીનાં સેકન્ડમાં ધડાકાભેર તુટી પડતાં 200થી વધુ નાગરિકોનાં મોત નિપજ્યાં હતા. આ ઘટનાને પગલે સમગ્ર દુનિયામાં ભારે ચકચાર મચી જવા પામી હતી. એવિએશન સેક્ટરમાં પણ બોઈંગનાં વિમાનોની ગુણવત્તા અને સુરક્ષાનાં માપદંડો પર પ્રશ્નાર્થ ઉઠ્યા હતા. જો કે, આ ઘટના બાદ હવાઈ ઉડ્ડયન ક્ષેત્રમાં પણ ભારે હોલાહલ જોવા મળ્યો હતો અને ખાનગી કંપનીઓ દ્વારા પણ વિમાનોની સુરક્ષા સંદર્ભે જરૂરી પગલાં ભરવામાં આવ્યા હતા. અલબત્ત, આજે સવારે 9.45 વાગ્યે ઈન્ડિગો એરલાઈન્સનું પ્લેન સુરતથી દુબઈ ખાતે રવાના થયું હતું. નિર્ધારિત 12.30 કલાકે દુબઈ ખાતે આ પ્લેન લેન્ડ થાય તે પહેલાં જ આંતરરાષ્ટ્રીય સીમા નજીક મધદરિયે પ્લેનનાં એન્જીનમાં વિકનેશ જોવા મળતાં પાયલોટ પણ સાબદાં થઈ ગયા હતા. કોઈપણ પ્રકારની સંભાવનાને ધ્યાને રાખીને પાયલોટ દ્વારા તાત્કાલિક પ્લેનને અમદાવાદ એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. 172 મુસાફરોની કેપિસીટી ધરાવતાં પ્લેનમાં અંદાજે 100થી વધુ મુસાફરો હોવાનું જાણવા મળ્યું છે. સપ્તાહમાં બે દિવસ ઉડતી દુબઈની આજની ફ્લાઈટમાં એન્જીનમાં સમસ્યા સર્જાતાં પાયલોટ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડ કરાવવામાં આવતાં એરપોર્ટ ખાતે ફરજ બજાવતાં ટેક્નીકલ સ્ટાફ પણ સતર્ક થઈ ગયો હતો. હાલમાં પ્લેનનાં એન્જીનની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ દુબઈની ફ્લાઈટમાં સવાર મુસાફરોનો એક તબક્કે જીવ તાળવે ચોંટ્યો હતો. જો કે, હાલમાં અમદાવાદ ખાતે પ્લેનનું સફળતાપૂર્વક લેન્ડ થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે