જામનગર, 28 ઓગસ્ટ (હિ.સ.): જામનગર જિલ્લાના કાલાવડના મોટી ભગેડી ગામના એક પરિણીતાએ પતિની શંકા કુશંકા અને શારીરિક-માનસિક ત્રાસથી વાજ આવી જઈને ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. જામ રોઝીવારામાં રહેતા આ યુવતીના પિતાએ જમાઈ સામે ફરિયાદ નોંધાવી છે. કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામમાં રહેતા અતુલ અમરશી પરમાર સાથે થોડા વખત પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામ રોઝીવારા ગામના લાલજીભાઈ સોમાભાઈ મકવાણાની પુત્રી નિલમના લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્ન પછી પતિ અતુલ અવારનવાર પત્ની નિલમ પર શંકાકુશંકા કરતો રહેતો હતો અને તેના કારણે ઝઘડા થતાં હતા. પતિના શારીરિક તથા માનસિક ત્રાસથી કંટાળી જઈ નિલમબેને આખરે ગઈકાલે મોટી ભગેડી ગામમાં પોતાના સાસરે સાડી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની પોલીસને જાણ કરાયા પછી જામ રોઝીવારાથી દોડી આવેલા પિતા લાલજીભાઈ મકવાણાએ પોતાની પુત્રીને મરી જવા માટે મજબુર કરનાર જમાઈ અતુલ પરમાર સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt