ગીર સોમનાથ 3 ઓગસ્ટ (હિ.સ.) : સોમનાથ મહાદેવના દર્શનાર્થે પ્રતિ વર્ષ કરોડો શ્રધ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે “અતિથિ દેવો ભવ:”ના સંસ્કૃત સૂત્રને આધારે શ્રદ્ધાળુઓને ઉત્તમ સેવા અને સુરક્ષા પૂરી પાડવા સોમનાથ ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે.ત્યારે વર્તમાન સમયમાં તીર્થયાત્રા સ્થળોની આસ્થા અને લોકપ્રિયતાનો દુરૂપયોગ કરીને ઓનલાઈન હોટલ બુકિંગ અને સેવાઓના બહાને અનેક યાત્રાળુઓને છેતરપિંડીનો ભોગ બનતા જોવા મળેલ છે. હોટલ ચેઇનના નામે બોગસ વેબસાઈટો કે ફોન upi દ્વારા ફ્રોડ થવાના સાયબર ગુનાઓ વધ્યા છે, જેનાથી યાત્રીઓની પર્સનલ માહિતી અને નાણાંની નુકશાની થવા પામી રહી છે.
આવા બનાવો ટાળવા અને તમામ યાત્રાળુઓ તેમજ હોટલ વ્યવસ્થાપકોને સજાગ કરવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના સાયબર સુરક્ષા વિભાગના તજજ્ઞો સાથે મળીને વિશેષ જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં હોટલ વ્યવસ્થાપકો, યાત્રાધામના સેવકો અને સ્થાનિક સંચાલકો માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે કેવી રીતે આવા ફ્રોડના કેસ અટકાવી શકાય, અને સંલગ્ન વ્યવસ્થાઓમાં કઈ પ્રકારની સાવચેતી અને તકેદારી જરૂરી છે.
સોમનાથ ટ્રસ્ટ સંચાલિત રામ મંદિર ઓડિટોરિયમ ખાતે આ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય ગૃહ મંત્રાલયના એકમ I4C (Indian Cybercrime Coordination Centre) ના વરિષ્ઠ સલાહકાર ઋષિ મહેતા દ્વારા ઓનલાઇન ફ્રોડ, તેની મોડસ ઓપરેન્ડી, તેનાથી બચવાનો ઉપાયો, અને ક્રાઈમ થયાના બનાવમાં કઈ રીતે ક્યાં ફરિયાદ કરવી જેથી ઝડપી નિવારણ આવે તે તમામ બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટ તમામ હોટલ માલિકો, વ્યવસ્થાપકો અને તેમના સ્ટાફને આ કાર્યશાળામાં જોડવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના વહીવટ અને હિસાબ મેનેજર અજયકુમાર દુબે I4C ભારતીય સાયબર ક્રાઇમ સંકલન કેન્દ્રના (વરિષ્ઠ સલાહકાર) ઋષિ મહેતા, નિયામક - સરકારી સહભાગિતા કોન કન્સલ્ટિંગ ગ્રુપ ભારતી આનંદ અંડર સેક્રેટરી - ગુજરાત પર્યટન મિત્તલબેન ઠાકોર, પોલીસ ઈન્સ્પેક્ટર, સાયબર ક્રાઇમ, ગીર સોમનાથ એસ.વી. રાજપૂત સહિતનાઓએ કાર્યક્રમમાં માર્ગદર્શન આપેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ