ગીર સોમનાથ 3 ઓગસ્ટ (હિ.સ.) શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પ્રતિ વર્ષ કરોડો શ્રધ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે “અતિથિ દેવો ભવ:”ના સંસ્કૃત સૂત્રને આધારે શ્રદ્ધાળુઓને ઉત્તમ સેવા અને સુરક્ષા પૂરી પાડવા શ્રી સોમનાથ ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે.
ત્યારે વર્તમાન સમયમાં તીર્થયાત્રા સ્થળોની આસ્થા અને લોકપ્રિયતાનો દુરૂપયોગ કરીને ઓનલાઈન હોટલ બુકિંગ અને સેવાઓના બહાને અનેક યાત્રાળુઓને છેતરપિંડીનો ભોગ બનતા જોવા મળેલ છે. હોટલ ચેઇનના નામે બોગસ વેબસાઈટો કે ફોન upi દ્વારા ફ્રોડ થવાના સાયબર ગુનાઓ વધ્યા છે, જેનાથી યાત્રીઓની પર્સનલ માહિતી અને નાણાંની નુકશાની થવા પામી રહી છે.
આવા બનાવો ટાળવા અને તમામ યાત્રાળુઓ તેમજ હોટલ વ્યવસ્થાપકોને સજાગ કરવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના સાયબર સુરક્ષા વિભાગના તજજ્ઞો સાથે મળીને વિશેષ જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં હોટલ વ્યવસ્થાપકો, યાત્રાધામના સેવકો અને સ્થાનિક સંચાલકો માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે કે, કેવી રીતે આવા ફ્રોડના કેસ અટકાવી શકાય, અને સંલગ્ન વ્યવસ્થાઓમાં કઈ પ્રકારની સાવચેતી અને તકેદારી જરૂરી છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ સંચાલિત શ્રી રામ મંદિર ઓડિટોરિયમ ખાતે તારીખ: 03,ઓગસ્ટ, 2025 ના રોજ સવારે 10:00 થી 12:00 વાગ્યા સુધી આ જાગૃતિ કાર્યક્રમ યોજનાર છે. ભારતીય ગૃહ મંત્રાલયના એકમ I4C (Indian Cybercrime Coordination Centre) ના વરિષ્ઠ સલાહકાર શ્રી ઋષિ મહેતા દ્વારા ઓનલાઇન ફ્રોડ, તેની મોડસ ઓપરેન્ડી, તેનાથી બચવાનો ઉપાયો, અને થયાના બનાવમાં કઈ રીતે ક્યાં ફરિયાદ કરવી જેથી ઝડપી નિવારણ આવે તે તમામ બાબતોનું માર્ગદર્શન આપવામાં આવશે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ તમામ હોટલ માલિકો, વ્યવસ્થાપકો અને તેમના સ્ટાફને આ કાર્યશાળામાં ઉપસ્થિત રહેવા અને યાત્રાળુઓની સુરક્ષા માટે માહિતગાર બનવા કાર્યક્રમમાં જોડી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ