શ્રાવણના બીજા સોમવારના અવસરે 67 ધ્વજા પૂજા, 64 સોમેશ્વર પૂજા,947 રુદ્રી પાઠ સહિત અનેકવિધ પૂજાઓ
સંકલ્પ કરી ભાવિકો ધન્ય થયા સાત વાગ્યા સુધીમાં, 68 હજારથી વધુ ભક્તોએ મહાદેવના દર્શન કર્યા
સાત વાગ્યા સુધીમાં 68 હજાર થી વધુ ભક્તોએ મહાદેવના દર્શન કર્યા


સોમનાથ 4 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની કતારો લાગી હતી. વહેલી સવારે 4:00 વાગ્યા થી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્યા હતા ત્યારે શ્રદ્ધાળુઓ ઉલ્લાસપૂર્ણ માહોલમાં સોમનાથ દાદાના દર્શન મેળવવા માટે ઉમટ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટની સુચારુ દર્શન વ્યવસ્થાને કારણે કોઈપણ યાત્રીને ગણતરીની મિનિટોમાં સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત થાય તેની ખાતરી કરવામાં આવી હતી, મોટી સંખ્યામાં વૃદ્ધો અને દિવ્યાંગોને ટ્રસ્ટની ઇલેક્ટ્રિક કાર્ટ અને વ્હીલચેર, લિફ્ટ જેવી દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓનો લાભ મળ્યો હતો.

સવારે ટ્રસ્ટના માન.સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબ દ્વારા ટ્રસ્ટ પરિવાર સમેત પાલખી પૂજા કરી પાલખીયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા.

શ્રાવણનો સોમવાર હોય સોમનાથ મંદિરમાં મોટી માત્રામાં ભક્તો દ્વારા પૂજાઓ નોંધાવવામાં આવી હતી. જેમાં 67 ધ્વજા પૂજા, 64 સોમેશ્વર પૂજા,947 રુદ્રીપાઠ, બિલ્વ પૂજા, શૃંગાર પૂજા, સહિતની પૂજા ભાવિકો દ્વારા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી.

શ્રી સોમનાથ મંદિર બહાર ભક્તો માટે ફરાળ અને ભંડારાની ઉત્તમ વ્યવસ્થા હોય તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં પણ અતિરિકત વ્યવસ્થાઓ કરાઈ હોય હજારોની સંખ્યામાં ભાવિકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ. યાત્રીઓની સલામતી અને સુવિધાને પ્રાધાન્ય આપીને ટ્રસ્ટ દ્વારા કરાયેલ વ્યવસ્થાઓ થકી સાંજના સાત વાગ્યા સુધીમાં 68,000 થી વધુ ભાવિકોએ સોમનાથ મહાદેવના સુચારુ દર્શન કર્યા હતા.

સાંજના સમયે સોમનાથ મહાદેવનો વિશેષ રુદ્રાક્ષ દર્શન શૃંગાર કરાયો હતો. જેમાં સમગ્ર જ્યોતિર્લિંગને રુદ્રાક્ષથી અલંકૃત કરવામાં આવ્યું હતું. ઉપરાંત સોમનાથ મહાદેવને અન્નકૂટ મનોરથ અર્પણ કરાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande