ગીર સોમનાથ 5 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગરની મુલાકાતે આવેલા કેન્દ્રીય રેલ, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ તથા માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ ધોલેરા-ભાવનગર રેલ કનેક્ટિવિટીના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી.
માનનીય મંત્રી, જેમને તેમના વ્યવહારુ દ્રષ્ટિકોણ અને કાર્યક્ષમતા માટે ઓળખખવામાં આવે છે, સંવાદ દરમિયાન સ્થળ પર જ નકશો કાઢીને જોયો અને ત્યાં જ તે સમયે પ્રોજેક્ટને અંતિમ મંજુરી આપી – જે તેમની ત્વરિત કામગીરી અને પ્રતિબદ્ધતાનું અનોખું ઉદાહરણ છે.
મંત્રિજીએ લીધેલો આ ઝડપી નિર્ણય ધોલેરા-ભાવનગર કનેક્ટિવિટી રેલ પ્રોજેક્ટની તાત્કાલિક સમીક્ષા અને ‘વિકસિત ભારત’ માટેના મહત્વાકાંક્ષી વિકાસ પ્રયાસોને તેજ આપવાના સંકલ્પને દર્શાવે છે.
ધોલેરા અને ભાવનગર માટે સારી કનેક્ટિવિટી, તેની લોજિસ્ટિક કાર્યક્ષમતા અને આર્થિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ નિર્ણયથી સરકારના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સમાં ઝડપ લાવવાનો દ્રઢ સંકલ્પ સ્પષ્ટ થાય છે.
• વિકસિત ભારત સંવાદ: ભાવનગરના મુદ્દાઓ અને વિકાસ અંગે ચર્ચા
-વિકસિત ભારત સંવાદ અંતર્ગત ભાવનગરના સ્થાનિક ઉદ્યોગકારો અને નાગરિકોએ મંત્રિજી સાથે શહેરની સમસ્યાઓ અને ઈન્ફ્રાસ્ટ્રકચર જરૂરિયાતો અંગે ચર્ચા કરી.
-FTR (ફ્રી ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ) સંબંધી પ્રશ્નના જવાબમાં મંત્રીએ ખાતરી આપી કે ભવિષ્યમાં FTR સંબંધિત કોઈ પણ સમસ્યા નહીં રહે.
-તેમણે ભાવનગરમાં કન્ટેનર પોર્ટ વિકસિત કરવાનું જાહેર કર્યું, જે ક્ષેત્રના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
-જ્યારે ભાવનગરમાં STPI (સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઈન્ડિયા) મારફતે IT પાર્ક સ્થાપવાની માગણી ઉઠી, ત્યારે મંત્રીએ તત્કાલ સંબંધિત અધિકારીને ફોન કરીને આ સુવિધાને મંજૂરી આપવા માટે હકારાત્મક દૃષ્ટિકોણ દાખવ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ