અમદાવાદ, 9 ઓગસ્ટ (હિ.સ.): રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” અંતર્ગત તા.15 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત અમદાવાદ શહેર - જિલ્લાની શાળાઓમાં આજે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાઓમાં રંગોળી, ક્વિઝ, પત્રલેખન, સાંસ્કૃતિક કાર્યક્રમોની અને દેશભક્તિના ગીતોની સ્પર્ધાઓ યોજાઈ હતી. આ તમામ સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરની 491 જેટલી શાળાઓમાં રંગોળી અને ક્વિઝની સ્પર્ધા યોજાઈ હતી. જ્યારે 297 શાળાઓમાં પત્રલેખનની સ્પર્ધા યોજાઈ હતી તથા 503 જેટલી શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની અને દેશભક્તિના ગીતોની સ્પર્ધા યોજાઈ હતી.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની શાળાઓની વાત કરીએ તો, 248 શાળાઓના 7507 જેટલા વિદ્યાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો જ્યારે 265 શાળાઓના 8474 જેટલા વિદ્યાર્થીઓએ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને 156 શાળાઓના 4901 વિદ્યાર્થીઓએ પત્ર લેખન સ્પર્ધામાં ભાગ લીધો હતો. તથા 326 શાળાઓના 10,322 જેટલા વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોની અને દેશભક્તિના ગીતોની સ્પર્ધામાં ભાગ લીધો હતો.
રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ તિરંગા, ભારત માતાની પ્રતિકૃતિ અને દેશભક્તિ પ્રેરિત દ્રશ્યો તૈયાર કર્યા હતા. જ્યારે ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા સેનાનીઓ, તિરંગા અને દેશના મહત્વના પ્રતીકો દર્શાવ્યા હતા. આ ઉપરાંત સંગીત - નૃત્યો અને દેશભક્તિના ગીતોના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય એકતા અને સ્વતંત્રતાનો માહોલ સર્જ્યો હતો.
આમ, સમગ્ર અમદાવાદ શહેર - જિલ્લાઓની શાળાઓમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ