પાટણ, 9 ઓગસ્ટ (હિ.સ.)પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહજી ડાભીએ જિલ્લા વહીવટી તંત્રને જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા લેખિત રજૂઆત કરી છે. ખાસ કરીને વિસર્જન સમયે સરસ્વતી નદી, ડેમ, તળાવો અને નહેરો ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થવાને કારણે જાહેર સલામતી માટે ખાસ પગલાં લેવા તેમણે વિનંતી કરી છે.
તેમણે વિસર્જન સ્થળોએ પર્યાપ્ત પોલીસ બંદોબસ્ત, જીવનરક્ષક સાધનો સાથે નાવિક સેવાઓ, બચાવ દળ, તાત્કાલિક સારવાર માટે આરોગ્ય ટીમ અને એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ભાર મૂક્યો છે. ઉપરાંત, શ્રદ્ધાળુઓની અવરજવર સરળ બને તે માટે સુવ્યવસ્થિત ટ્રાફિક નિયંત્રણ અને માર્ગદર્શનની વ્યવસ્થા કરવાની જરૂરિયાત દર્શાવી છે.
સાંસદ ડાભીએ તહેવાર પૂર્વે સલામતી અંગે જાગૃતિ ફેલાવવા જાહેર માહિતી અભિયાન ચલાવવા અને તમામ વિભાગો વચ્ચે સંકલન સાધી આયોજનને સમયસર અમલમાં મૂકવા અનુરોધ કર્યો છે, જેથી પાટણ જિલ્લામાં તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં થઈ શકે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર