વડોદરા, 9 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આજે રક્ષાબંધનનો પવિત્ર પર્વ સૌહાર્દ અને ભાવનાત્મક માહોલમાં. ભાઈ-બહેનના અતૂટ સ્નેહના પ્રતિક રૂપે બહેનોએ પોતાના બંદીવાન ભાઈઓને રાખડી બાંધી અને તેમના સુખ-સમૃદ્ધિ માટે શુભકામનાઓ પાઠવી. જેલ પ્રશાસન દ્વારા આ અવસર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અખબારી યાદી અનુસાર, બહેનો માટે રાખડી બાંધવાનો સમય સવારે ૮ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી નક્કી કરાયો છે, જેથી તમામ મુલાકાતો સુચારૂ રીતે પૂર્ણ થઈ શકે.
બંદીવાન ભાઈઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતાં જેલ પ્રશાસન દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે બહારથી લાવવામાં આવેલી દૂધથી બનેલી ચીજ વસ્તુઓ સ્વીકારવામાં આવશે નહીં. તેના બદલે, બહેનો જેલ ખાતે ઉપલબ્ધ બરોડા ડેરીની શુદ્ધ અને તાજી મીઠાઈ પોતાના ભાઈઓને ખવડાવી શકશે. આ વ્યવસ્થાનો હેતુ બંદીવાનના આરોગ્યનું રક્ષણ કરવો અને કોઈ પણ પ્રકારની આરોગ્યસંબંધિત મુશ્કેલી ટાળવી છે.
રક્ષાબંધનના પર્વે જેલના વાતાવરણમાં પણ એક ભાવનાત્મક ઊર્જા પ્રસરી ગઈ હતી. લાંબા સમય પછી ભાઈ-બહેનના મિલનથી ઘણા બંદીવાન ભાઈઓની આંખોમાં આંસુ આવી ગયા હતા. બહેનો દ્વારા રાખડી બાંધવાની સાથે મીઠાઈ વહેંચાઈ અને ભાઈઓએ પણ બહેનોને પોતાના આશીર્વાદ આપ્યા. જેલ સ્ટાફે પણ આ કાર્યક્રમમાં પૂરું સહકાર આપ્યો અને સુરક્ષા તેમજ વ્યવસ્થાને સુનિશ્ચિત કરી.
આવી પહેલો જેલમાં માનવતા અને લાગણીના પુલ બાંધે છે. રક્ષાબંધનનો આ ઉજાસ બંદીવાનના જીવનમાં સકારાત્મક ભાવનાઓ જગાડે છે અને તેમને સમાજ સાથે ફરી જોડાવા પ્રેરણા આપે છે. વડોદરા મધ્યસ્થ જેલમાં યોજાયેલ આ ઉજવણી, ભલે દીવાલોની અંદર રહી, પરંતુ હૃદયોમાં સ્વતંત્રતા અને સ્નેહની અનુભૂતિ છોડી ગઈ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Gondaliya