મહેસાણા, 9 ઓગસ્ટ (હિ.સ.): સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના સરહદ પર આવેલું સપ્તેશ્વર મહાદેવ મંદિર એક એવું તીર્થસ્થળ છે, જ્યાં ત્રેતાયુગની પૌરાણિક ગાથા, સાત ઋષિઓની તપશ્ચર્યા, ખગોળવિજ્ઞાન અને કુદરતી સૌંદર્યનો અનોખો મેળ જોવા મળે છે. ડેભોલ અને સાબરમતી નદીના સંગમ પર સ્થિત આ શિવાલયમાં શિવલિંગ ઉપર સતત ગૌમુખમાંથી નદીનું શુદ્ધ પાણી વહે છે અને ભક્તોને દર્શન માટે પાણીમાં અડધા ડૂબીને જવું પડે છે. ઐતિહાસિક મહત્વ, આધ્યાત્મિક આસ્થા અને કુદરતી શાંતિ – ત્રણેય આ સ્થળને વિશેષ બનાવે છે.
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનાં અરસોડીયા ગામની નજીક આવેલ આ મંદિર અમદાવાદથી આશરે 100 કિ.મી., ઈડરથી 32 કિ.મી. અને હિંમતનગરથી 30 કિ.મી. દૂર છે, જ્યારે સામે કિનારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામ આવેલું છે. આસપાસનું હરિયાળું કુદરતી પરિસર પ્રવાસીઓને આકર્ષે છે.
દંતકથા અનુસાર, કશ્યપ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, અત્રિ, જમદગ્નિ અને ગૌતમ – આ સાત મહાન ઋષિઓએ અહીં કઠોર તપશ્ચર્યા કરી હતી અને શિવલિંગની સ્થાપના કરી હતી. મંદિરમાં ગોઠવાયેલા સાતેય શિવલિંગનું સ્થાન એવું છે કે તે આકાશમાં સપ્તર્ષિ તારાજૂથના આકારને પ્રતિબિંબિત કરે છે, જે ખગોળવિજ્ઞાન સાથેનું પ્રાચીન સંકળાણ દર્શાવે છે.
સપ્તેશ્વર મહાદેવ સુધી પહોંચવા માટે સડક માર્ગે બસ, રિક્ષા કે ટેક્સીની સુવિધા છે, જ્યારે ટ્રેન માર્ગે મહેસાણા અથવા ઈડર દ્વારા પણ અહીં સરળતાથી પહોંચી શકાય છે. નદીઓના સંગમ પર વસેલું આ શિવાલય ભક્તો માટે ભક્તિનો અને પ્રવાસીઓ માટે કુદરતી સૌંદર્યનો અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR