પાટણ, 9 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા ગામમાં રક્ષાબંધનનું પર્વ અન્ય જગ્યાઓથી અલગ રીતે ઉજવાય છે. અહીં શ્રાવણ સુદ પૂનમના બદલે, ભાદરવા સુદ તેરસના દિવસે રાખડી બાંધવાની પરંપરા છે. 700 વર્ષ જૂની લોકવાયકા મુજબ, એક વખત શ્રાવણ સુદ પૂનમે નાળિયેર લાવવાની પરંપરા દરમિયાન, ચાર યુવાનો ગામના તળાવમાં ડૂબી ગયા હતા. ગ્રામજનોને તેઓ મૃત થયા હોવાનું લાગ્યું અને શોકમાં રક્ષાબંધન ન ઉજવવાનો નિર્ણય લેવાયો.
કહેવાય છે કે, થોડા દિવસો બાદ ગામના મુખીને સ્વપ્નમાં ગોધણશાપીર દાદા દેખાયા અને કહ્યું કે, આખું ગામ ઢોલ-નગારા સાથે અબીલ-ગુલાલ લઈને તળાવ પાસે જાય, તો યુવાનો જીવતા મળી આવશે. બીજા જ દિવસે ગામવાસીઓ ઢોલ વગાડતા અને અબીલ-ગુલાલ ઉડાડતા તળાવ પાસે પહોંચ્યા, ત્યારે ચમત્કારિક રીતે ચારેય યુવાનો જીવતા બહાર આવ્યા.
આ ચમત્કાર શ્રાવણ સુદ પૂનમના 28 દિવસ બાદ, એટલે કે ભાદરવા સુદ તેરસના દિવસે બન્યો હતો. ત્યારથી ગામની દીકરીઓએ એ જ દિવસે ભાઈના હાથમાં રાખડી બાંધવાની પરંપરા શરૂ કરી. આ દિવસે ગોધણશાપીર દાદાના મંદિરે સુખડી અને શ્રીફળનો પ્રસાદ ચઢાવાય છે અને પર્વની ધામધૂમથી ઉજવણી થાય છે.
આ પરંપરા આજે પણ અખંડિત છે. માત્ર ગામની દીકરીઓ જ નહીં, પરંતુ અહીં પરણીને આવેલી સ્ત્રીઓ પણ પોતાના પિયરે જઈ ભાઈને રાખડી બાંધે છે. આખું ગામ દાદા પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખે છે અને ભાદરવા સુદ તેરસના રોજ સૌ ભાઈ-બહેનના પ્રેમ અને પરંપરાની ઉજવણી કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર