મોડાસા, 9 ઓગસ્ટ (હિ.સ.)
દર વર્ષે તા. ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન ઉજવવામાં આવતા “વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત અરવલ્લી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને આરસીએચ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર (પીએચસી), પેટા આરોગ્ય કેંદ્ર, બાળ સંજીવની કેન્દ્ર અને વિસ્તારોમા એસબીસીસી ટીમ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી.
“વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીમાં વિસ્તારમાં દરેક સગર્ભા અને ધાત્રી માતાઓ માટે વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં શિશુના જન્મના પહેલા એક ક્લાક દરમિયાન અચૂક સફળ સ્તનપાનની સાચી શરૂઆત, પ્રસૂતિ પછી માતાના સ્તનોમાંથી નીકળનારૂં પ્રથમ પીળું ઘાટું દૂધ (કોલસ્ટ્રમ) શિશુ માટે સૌથી વધુ લાભદાયી હોય છે. માતાના પ્રથમ દૂધને શિશુ માટે પ્રથમ રસીકરણ પણ કહે છે. આ દૂધમાં શિશુની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની અદભૂત તાકાત હોય છે, જેનાથી શિશુ બીમારીઓ તેમજ ચેપ સામે આસાનીથી લડી શકે છે.
પ્રસૂતિ બાદ પ્રથમ ૬ મહિના સુધી માત્ર ને માત્ર ધાવણ, ધાવણથી શિશુના આરોગ્યને થતા ફાયદા, જન્મ પછી તરત જ નવજાત શિશુને એક ક્લાક સુધી માતાની છાતી પર ત્વચાના સંપર્કમાં રહે તે માટે ૨૪ ક્લાક શિશુને માતા સાથે જ રાખવું ,કાંગારૂ મધર કેર, જન્મ પછી છ મહિના સુધી બાળકને ઉપરનું દૂધ,પાણી,મધ,ખોરાક,ગળથૂથી કે અન્ય પદાર્થ ન આપવો જોઈએ. માત્ર માતાનું દૂધ જ પર્યાપ્ત અને સર્વોત્તમ હોય છે. માતા અને શિશુના સ્કીન ટુ સ્કીન કોન્ટેક દ્વારા શિશુના વૃદ્ધિ વિકાસમાં થતા ફાયદા વિશે લોકો માહિતગાર થાય તે માટે શિબિર, જુથ ચર્ચા, ગૃહ મુલાકાત સાથે વિવિધ આઈઇસી પ્રવુતીઓ કરવામાં આવી હતી. તથા આશા મીટીંગ અને મમતા દિવસ દરમ્યાન આ સંદેશ મહત્તમ લોકો સુધી પહોંચાડવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ