પાટણ, 12 સપ્ટેમ્બર (હિ.સ.)સાંતલપુર તાલુકાના નલિયા ગામે ખારી નદીમાં નાહવા ગયેલા 9 યુવકો ડૂબી ગયા હતા. ઘટનાના સમયે 4 યુવકોને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 4 યુવકોના મૃતદેહ તરત જ મળી આવ્યા હતા. એક યુવક ભીલ વિનોદભાઈ લાપતા હતો.
લાપતા યુવકની શોધ માટે SDRF અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ પાણીના ભારેઘણા પ્રવાહને કારણે શોધખોળમાં મુશ્કેલી આવી હતી. શોધ માટે ત્રણ ટીમોએ ડ્રોન કેમેરાની પણ મદદ લીધી હતી.
દુર્ઘટનાના ચોથા દિવસે NDRFની ટીમે લાપતા યુવક વિનોદભાઈ ભીલનો મૃતદેહ નદીમાંથી થોડે દૂરથી શોધી કાઢ્યો છે. વારાહી મામલતદાર દિનેશભાઈ પંડ્યાએ માહિતી આપી હતી કે નલિયા દુર્ઘટનામાં કુલ 5 યુવકોના મોત થયા છે. તે ઉપરાંત, રણમલપુર નદીમાં પણ સાંતલપુરના એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. બંને ઘટનામાં કુલ 6 મોતના કારણે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ