મહેસાણા, 13 સપ્ટેમ્બર (હિ.સ.): જિલ્લા પંચાયત મહેસાણા હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન મુજબ 10મા આયુર્વેદ દિવસની ઉજવણીનો ભાગરૂપે તા. 13/09/2025ના રોજ સરકારી આયુર્વેદ દવાખાનું ઝુલાસણ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ઝુલાસણના PHC ખાતે યોજાયો હતો જેમાં આરોગ્ય સ્ટાફ માટે “Ayurved for People and Planet” વિષય પર માહિતીસભર વક્તવ્ય આપવામાં આવ્યું.
વક્તવ્ય દરમિયાન આયુર્વેદ કેવી રીતે માનવ આરોગ્ય સાથે સાથે પ્રકૃતિના સંતુલનને જાળવે છે તે અંગે વિશદ સમજાવવામાં આવ્યું. પ્રાચીન ઔષધિઓ, જડીબુટ્ટીઓનો ઉપયોગ, સ્વસ્થ જીવનશૈલી માટે આયુર્વેદના ઉપાય તથા પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ પર ભાર મૂકાયો.
આયુર્વેદિક પદ્ધતિઓ માત્ર રોગનિદાન માટે નહીં પરંતુ આરોગ્ય જાળવવા માટે જીવનશૈલી અપનાવવાનું માર્ગદર્શન આપે છે તેવું પણ જણાવાયું. સ્ટાફને પોતાના દૈનિક કાર્યોમાં આયુર્વેદિક જ્ઞાનનો પ્રચાર કરવા તથા ગ્રામજનોને પ્રેરિત કરવાની અપીલ કરવામાં આવી.
આ કાર્યક્રમથી આરોગ્ય કર્મચારીઓમાં આયુર્વેદ પ્રત્યે જાગૃતિ સાથે પર્યાવરણ સંરક્ષણ માટે પણ જવાબદારીની ભાવના વિકસાવવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR