જૂનાગઢ, 13 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોનના માર્ગદર્શન નીચે બાંટવા નગરપાલિકાના ઉપક્રમથી શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત બાંટવા નગરપાલિકાના ૯૪ કર્મચારીઓ/અધિકારીઓ માટે ફાયર, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સર્વિસીઝ અને ફર્સ્ટ એઈડની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો.
વર્ષ ૨૦૨૫ને ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના Pillar-3 Good Governanceમાં અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી તાલીમ આપવા ઉપર વિશેષ ભાર મુકાયો છે. કોઈપણ કુદરતી આફત કે માનવ સર્જીત દુર્ધટના સમયે નગરપાલિકા કક્ષાએ સ્થાનિક સ્તરે આ ડીઝાસ્ટરનો પ્રથમ પ્રતિભાવ ફ્રન્ટલાઈન વોરીયર તરીકે નગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓએ આપવાનો થાય છે. જેથી નગરપાલિકાઓના અધિકારીઓને/કર્મચારીઓને આ માટે સુસજ્જ કરવા આવશ્યક હોય છે. જે અન્વયે પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ ભાવનગરના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જિલ્લાની ૭ નગરપાલિકાઓ માટે ફાયર સેફ્ટી, ૧૦૮/૧૧૨ આવશ્યક સેવાઓ અને ફર્સ્ટ એઇડની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.
તે પૈકી આજરોજ બાંટવા નગરપાલિકામાં જવાહર ગાર્ડન દીનદયાલ ઉપાધ્યાય ભવન ખાતે ફાયર સેફ્ટી, ૧૦૮ અને ૧૧૨ આવશ્યક સેવાઓ અને ફર્સ્ટ એઈડ જેવી મહત્વની તાલીમ ચીફ ઓફિસર બી.પી બોરખતરીયા ના અધ્યક્ષસ્થાને નગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવી. આ તાલીમનો લાભ કુલ ૯૪ તાલીમાર્થીઓએ લીધો હતો.
બાંટવા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રકાશભાઇ ડાકી દ્વારા ફાયર સેફ્ટી અંગેની સમજ આપી. બાંટવા નગરપાલિકાના મ્યુનિ. ઈજનેરશ્રી દ્વારા ૧૦૮ અને ૧૧૨ આવશ્યક સેવાઓ વિશે વિસ્તૃત સમજ આપી બાંટવા નગરપાલિકાના કચેરી અધિક્ષક દ્વારા પ્રાથમિક સારવાર અંગે જેમ કે, દાઝી જવું, પડી જવું, હાર્ટ એટેકના સમયે કૃત્રિમ શ્વાસોશ્વાસ (CPR) વગેરે બાબતે જાણકારી આપવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ૨૦૦૫ને પહેલી વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યો હતો. ત્યારથી શરૂ થયેલી રાજ્યની શહેરી વિકાસ યાત્રાને આજે ૨૦ વર્ષ પૂરા થઈ ચુક્યા છે. જેના ઉપક્રમે ગુજરાત સરકાર, વર્ષ ૨૦૨૫ ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવી રહી છે, ત્યારે શહેરી વિસ્તારોને વધુ સુખ-સુવિધા સભર બને તેમજ નાગરિકો ‘Earning Well, Living Well’ નો ધ્યેય સાકાર કરી શકે તે માટે સરકારે વિશેષ આયોજન કર્યું છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, અમૃત ૨.૦ યોજના, ૧૫મું નાણાપંચ ઉપરાંત આઇકોનિક રોડ અને સ્વચ્છતા અને અન્ય બાબતો માટે ગત વર્ષ કરતા ૪૦% વધુ બજેટ ફાળવવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ