અમરેલી, 14 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના નાના આંકડિયા ગામમાં વિકાસની દિશામાં મહત્વપૂર્ણ સુવિધા પ્રાપ્ત થઈ છે. અહીં અંદાજિત રૂ. 2 કરોડના ખર્ચે બનેલા નવા બ્રિજનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ અવસરે મુખ્ય અતિથિ તરીકે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા ઉપસ્થિત રહ્યા હતા.
લોકાર્પણ સમારંભમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો અને સ્થાનિક પ્રતિનિધિઓ જોડાયા હતા. સાંસદ ભરત સુતરિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ બ્રિજના નિર્માણથી નાના આંકડિયા અને આસપાસના ગામોના લોકોને મોટા પ્રમાણમાં રાહત મળશે. ખાસ કરીને વરસાદી મોસમમાં આવનજાવન સરળ બનશે અને ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનોના પરિવહનમાં પણ સહાય મળશે. તેમણે ઉમેર્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં પણ આ પ્રકારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવશે.
ગામલોકોએ નવા બ્રિજના નિર્માણથી ખુશી વ્યક્ત કરી હતી અને સાંસદ તથા તંત્રનો આભાર માન્યો હતો. આ બ્રિજ નાના આંકડિયા સહિત આસપાસના વિસ્તારો માટે વિકાસની નવી દિશા સાબિત થવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai