સુરત, 16 સપ્ટેમ્બર (હિ.સ.)- ધ સુરત ફાયર એસોસિએશન આયોજિત જનરલ બોર્ડની બેઠકમાં હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. નવા વર્ષની કમિટી અંગે ચર્ચાઓ કરતા સર્વાનુમતે પ્રમુખ તરીકે એલ.કે.ડુંગરાણી, ઉપપ્રમુખ અમિત ગોરસીયા, મંત્રી ચિન્મય દેસાઈ,સંયુક્ત મંત્રી રાજુ જેસડીયા અને ખજાનચી તરીકે ભાવેશ ગોળકિયા બિનહરીફ ચુંટાયેલા જાહેર થયાં. પ્રમુખ તરીકેનું પદગ્રહણ સંભાળતા એલ.કે. ડુંગરાણીએ તેમના પ્રથમ વકતવ્યમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમમાં વપરાતા સાધન-સામગ્રી ઉચ્ચ ગુણવત્તાવાળા જ વાપરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તથા ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઈફ સેફટી મેજર્સ એકટ-૨૦૧૩ ના સેક્શન (૨૮) મુજબ લાયસન્સ એજન્સીઓને મંજૂરી આપવા માટે રાજ્ય સરકારમાં ભારપૂર્વક રજૂઆત કરવા ઠરાવ પસાર કરાવ્યો હતો.
એસો.ના એક્ટિંગ ઉપપ્રમુખ સંચિતભાઈ નિગનીયાએ બેઠકમાં પ્રમુખ સ્થાન સંભાળ્યું હતું. સંસ્થાના મંત્રી ચિન્મય દેસાઈના અનુરોધથી પૂર્વ પ્રમુખ મુકેશભાઈ નિગનીયાના સ્વર્ગવાસ થતા સૌએ બે મિનીટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. ખજાનચી ભાવેશ ગોળકિયાએ વર્ષ દરમ્યાનના આવક-જાવકના હિસાબો દર્શાવ્યા, જેને સર્વાનુમતે મંજૂર કરાયા હતા. આભારવિધિ અરૂણભાઈએ કરી હતી. બેઠકમાં સુરતમાં આગ ઓલવવાના સાધનોની ફીટીંગની કામગીરી સંભાળતા ફાયર કન્સલ્ટન્ટ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે