અરવલ્લીના મોડાસાની ભોઈવાડા આંગણવાડી કેન્દ્ર,....બાળકોના સર્વાંગી વિકાસનું કેન્દ્ર..
મોડાસા, 17 સપ્ટેમ્બર (હિ.સ.) અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં નગરપાલિકા વિસ્તારમાં આવેલું ભોઈવાડા આંગણવાડી કેન્દ્ર બાળકોના પોષણ, શિક્ષણ અને સર્વાંગી વિકાસનું એક ઝળહળતું ઉદાહરણ છે. આ કેન્દ્ર ગામના નાનકડા બાળકો માટે ન માત્ર પોષણયુક્ત ખોરાકનું કેન્દ્ર
અરવલ્લીના મોડાસાની ભોઈવાડા આંગણવાડી કેન્દ્ર,....બાળકોના સર્વાંગી વિકાસનું કેન્દ્ર..


મોડાસા, 17 સપ્ટેમ્બર (હિ.સ.)

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં નગરપાલિકા વિસ્તારમાં આવેલું ભોઈવાડા આંગણવાડી કેન્દ્ર બાળકોના પોષણ, શિક્ષણ અને સર્વાંગી વિકાસનું એક ઝળહળતું ઉદાહરણ છે. આ કેન્દ્ર ગામના નાનકડા બાળકો માટે ન માત્ર પોષણયુક્ત ખોરાકનું કેન્દ્ર છે, પરંતુ તેમના મનોરંજન, શિક્ષણ અને શારીરિક-માનસિક વિકાસનું પણ પ્રેરણાસ્ત્રોત બન્યું છે. ભોઈવાડા આંગણવાડી કેન્દ્રની પ્રવૃત્તિઓ અને સમર્પિત કાર્યકરોના પ્રયાસોની ઝાંખી મળી, જે ખરેખર પ્રશંસનીય છે.

આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પોષણયુક્ત ખોરાક આપવામાં આવે છે, જેનું આયોજન અઠવાડિયાના મેનુ પ્રમાણે કરવામાં આવે છે. આ ખોરાકમાં મુઠીયા, ચણા, સુખડી, શીરો, દાળભાત ભાખરી જેવા અન્ય પૌષ્ટિક વાનગીઓનો સમાવેશ થાય છે, જે બાળકોના શારીરિક વિકાસ માટે અત્યંત જરૂરી છે. આ ખોરાકની ગુણવત્તા અને પોષણક્ષમતા એવી છે કે બાળકોને ઉર્જા અને આરોગ્ય બંને મળે. આંગણવાડીના તેડાગર છાયાબેન, જેઓ બાળકો માટે પ્રેમથી નાસ્તો અને જમવાનું તૈયાર કરે છે, તેમનું કહેવું છે કે, “અમારો પ્રયાસ છે કે દરેક બાળકને પૌષ્ટિક ખોરાક મળે, જેથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ થાય અને તેઓ સ્વસ્થ રહે.”

ભોઈવાડા આંગણવાડી કેન્દ્ર બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. અહીં બાળકોને રમતો, કવિતાઓ, ગીતો અને વાર્તાઓ દ્વારા શીખવવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ બાળકોની સર્જનાત્મકતા, સામાજિક કૌશલ્યો અને આત્મવિશ્વાસ વધારે છે. રમતો દ્વારા બાળકોની શારીરિક ક્ષમતાઓ મજબૂત થાય છે, જ્યારે કવિતા અને ગીતો તેમની ભાષાકીય ક્ષમતા અને સાંસ્કૃતિક જાગૃતિને વિકસાવે છે. આવી પ્રવૃત્તિઓ બાળકોને શાળા માટે તૈયાર કરવામાં અને તેમની શીખવાની રુચિ જાગૃત કરવામાં મદદરૂપ થાય છે.

ભોઈવાડા આંગણવાડી કેન્દ્રની ખાસ વાત એ છે કે તે સુંદર બગીચાથી શોભે છે. આ બગીચો બાળકો માટે પ્રકૃતિ સાથે જોડાવાનો અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વિકસાવવાનો એક માધ્યમ છે. આ બગીચામાં બાળકો ખુલ્લા વાતાવરણમાં રમે છે, જે તેમના મન અને શરીરને તાજગી આપે છે. આંગણવાડીનું સ્વચ્છ અને આનંદદાયક વાતાવરણ બાળકોને આકર્ષે છે અને તેમનામાં નિયમિત હાજરી માટે પ્રોત્સાહન આપે છે.સમર્પિત તેડાગર અને આંગણવાડી કાર્યકર્તાઓની મહેનતના પરિણામે ભોઈવાડા આંગણવાડી કેન્દ્ર ગામના બાળકો માટે આશાનું કિરણ બન્યું છે. તેમની સેવાભાવના અને બાળકો પ્રત્યેનો પ્રેમ આ કેન્દ્રને એક આદર્શ સંસ્થા બનાવે છે. આંગણવાડીની આ સફળતા ગુજરાત સરકારના પોષણ અને બાલ વિકાસના પ્રયાસોનું પ્રતિબિંબ છે. ભોઈવાડા આંગણવાડી કેન્દ્ર એક એવું પ્રેરણાદાયી માધ્યમ છે, જે બાળકોના ભવિષ્યને સુદૃઢ બનાવવા માટે સતત કાર્યરત છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande