મહેસાણા, 17 સપ્ટેમ્બર (હિ.સ.): વિસનગરની એમ.એન. કોલેજના NCC યુનિટ દ્વારા શરદ ઋતુચર્યા વિષય પર એક ખાસ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રા. શક્તિ રામાનંદીએ ઉપસ્થિત રહી કેડેટ્સને ઋતુ અનુસાર આહાર, વિહાર, વિચાર અને આચાર અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ NCC કેડેટ્સને શારીરિક શિસ્ત સાથે સ્વાસ્થ્ય જાળવણી અંગે જાગૃત કરવાનો હતો.
વ્યાખ્યાન દરમિયાન પ્રા. રામાનંદીએ જણાવ્યું કે શરદ ઋતુને અનેક રોગોની માતા માનવામાં આવે છે, કારણ કે આ સમયમાં વાતાવરણના બદલાવને કારણે બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. તેમણે આયુર્વેદિક સિદ્ધાંતોના આધારે કેડેટ્સને પથ્ય (ઉપયોગી) અને અપથ્ય (નુકસાનકારક) આહાર અંગે માર્ગદર્શન આપ્યું તેમજ ઋતુચર્યાનું પાલન રોગપ્રતિકારક શક્તિ માટે અત્યંત જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવ્યું.
આ અવસરે હંસોદક પાણીનું પણ ખાસ વર્ણન થયું. આ પાણી સૂર્ય અને ચંદ્રના કિરણો દ્વારા શુદ્ધ થયેલું હોવાથી શરદ ઋતુમાં સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયી ગણાય છે. કેડેટ્સને આ પાણી કેવી રીતે તૈયાર કરવું અને તેના ફાયદા વિશે માહિતગાર કરવામાં આવ્યા.
કાર્યક્રમમાં જીવવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ હસમુખ જોશી, NCC કમિટીના પ્રો. જીતેન પટેલ અને પ્રો. વિરેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વ્યાખ્યાન કેડેટ્સમાં આરોગ્ય જાગૃતિ વધારવામાં મદદરૂપ બન્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR