ગીર સોમનાથ 18 સપ્ટેમ્બર (હિ.સ.) લોહાણા મહાજન સમાજ વાડી, કોડિનાર ખાતે ગઇકાલે સિંગલ યુઝ પ્લાસ્ટિક અને મિલેટ બેઝ્ડ સસ્ટેનેબલ ફૂડ વિષય પર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્વ સહાય જૂથની બહેનો ઉત્સાહપૂર્વક જોડાઇ હતી. અભિયાન દરમિયાન બહેનોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના હાનિકારક પ્રભાવ, તેના વિકલ્પોનો ઉપયોગ તથા આરોગ્યપ્રદ જીવનશૈલી માટે મિલેટ આધારિત ખાદ્ય પદાર્થોની ઉપયોગિતા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અવસરે વક્તાશ્રી રીટાબા જાડેજાએ બહેનોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનીને દૈનિક જીવનમાં નાના-નાના બદલાવ લાવીને આપણે સ્વચ્છતા અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ આગળ વધી શકીએ છીએ.
આ અવસરે બહેનોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે પ્રેરણા આપવામાં આવી હતી. પ્લાસ્ટિકની થેલીના બદલે કપડાની થેલીના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે સુંદર પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિડિયો પ્રેઝન્ટેશન દ્વારા પ્લાસ્ટિક ન વાપરવાના ફાયદા શું છે અને કપડાની થેલી કેમ વધુ સારું વિકલ્પ બની શકે છે, તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાથે જ, મિલેટ આધારિત ખોરાકના આરોગ્યલક્ષી ફાયદા અંગે માહિતી આપવામાં આવી હતી. બહેનોએ બંને વિષય પર પોતપોતાના પ્રતિભાવો ખૂબ સુંદર રીતે રજૂ કર્યા, જેના દ્વારા સમગ્ર કાર્યક્રમ અસરકારક બન્યો હતો.
આ અભિયાન દ્વારા સમાજમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટેના સંકલ્પને નવી દિશા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ