અમરેલી, 19 સપ્ટેમ્બર (હિ.સ.): બાળકો અને સગર્ભાધાત્રી મહિલાઓને પોષણયુક્ત આહાર મળી રહે અને સમાજમાં સ્વસ્થ આહાર અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી, ICDS શાખા જિલ્લા પંચાયત અમરેલી દ્વારા “પોષણ વાનગી ઉત્સવ – ૨૦૨૫” અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લામાં વિવિધ આંગણવાડી કેન્દ્રો, મહિલા મંડળો તથા સ્વયંસેવક બહેનો મોટી સંખ્યામાં જોડાયા.
આ સ્પર્ધા દરમિયાન ભાગ લેનારોએ દાળ-અનાજ, હરી ભાજી, દૂધજન્ય પદાર્થો તથા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પૌષ્ટિક ઘટકોનો ઉપયોગ કરીને આકર્ષક તથા આરોગ્યવર્ધક વાનગીઓ તૈયાર કરી. ન્યાયાધીશ મંડળે વાનગીઓના સ્વાદ, પોષણમૂલ્ય અને પ્રસ્તુતિના આધારે મૂલ્યાંકન કર્યું.
આ અવસરે ICDS અધિકારીઓએ જણાવ્યું કે બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં સંતુલિત આહારની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. સગર્ભાધાત્રી મહિલાઓને પોષણયુક્ત આહાર મળે તો માતા તથા બાળક બન્નેનું સ્વાસ્થ્ય મજબૂત બને છે.
આ પ્રસંગે વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા તેમજ તમામ ભાગ લેનારાઓને પ્રશસ્તિપત્ર અપાયા. અમરેલી જિલ્લાના આ અનોખા પ્રયાસે “સ્વસ્થ માતા – સ્વસ્થ બાળક” ના સંદેશને વધુ મજબૂત બનાવ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai