પાટણ, 2 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાંથી મંગળવારે અંબાજી તરફ વિવિધ પદયાત્રા સંઘોએ યાત્રા શરૂ કરી છે. જળચોક વિસ્તારમાં આવેલા નીચા માઢ ખાતેથી જળચોક યુવક મંડળ દ્વારા આ વર્ષે 26મો સંઘ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં 60 પદયાત્રીઓ જોડાયા છે. સોનીવાડા વિસ્તારના વાઘેશ્વરી માતાના મંદિરેથી બે સંઘ પ્રસ્થાન કરશે. રાજકાવાડા વિસ્તારની રામશેરી ખાતે આવેલા નારશુગા વીરદાદાના મંદિરેથી નીકળનાર સંઘમાં 100થી વધુ પદયાત્રીઓ જોડાયા છે.
પદયાત્રીઓ માટે વિવિધ સેવાકીય આયોજન પણ કરવામાં આવ્યા છે. લાયન્સ-લીઓ ક્લબ અને SPB ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે બે દિવસ સુધી ભોજન પ્રસાદ, ખમણ, ચા અને મિનરલ વોટરની વ્યવસ્થા કરવામાં આવી છે. પાટણ ચોક્સી મહાજન ઝવેરી બજાર મિત્ર મંડળ એસોશીએશન દ્વારા હાજીપુર અને કામલીવાડા વચ્ચે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાઈવ ફૂલવડી, ગરમ નાસ્તો, મેડિકલ સેવા અને પાણીની સુવિધા ઉપલબ્ધ રહેશે.
સંઘના પ્રસ્થાન પહેલાં પદયાત્રીઓએ માતાજીની આરતી, ધજાની પૂજાવિધિ અને ગરબાઓ કરીને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. યાત્રા દરમિયાન સમગ્ર માર્ગ પર જય અંબેના ઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ