જામનગરમાં શ્રાવણી મેળામાં રૂ.41 લાખના ગોટાળા પ્રકરણમાં તપાસના આદેશ અપાયા
જામનગર, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરમાં ગત મહિને યોજાયેલા શ્રાવણી મેળામાં સરકારી તિજોરીને રૂ.41 લાખનું નુકશાન પહોંચાડવામાં આવ્યું હોવાના વિપક્ષે કરેલા આક્ષેપ બાદ મ્યુ. કમિશનરને પુરાવા સાથે આવેદન આપીને તપાસની માંગણી કરતાં કમિશનર દ્વારા આ મામલે ડેપ્
શ્રાવણી મેળો પ્રતીકાત્મક તસવીર


જામનગર, 23 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગરમાં ગત મહિને યોજાયેલા શ્રાવણી મેળામાં સરકારી તિજોરીને રૂ.41 લાખનું નુકશાન પહોંચાડવામાં આવ્યું હોવાના વિપક્ષે કરેલા આક્ષેપ બાદ મ્યુ. કમિશનરને પુરાવા સાથે આવેદન આપીને તપાસની માંગણી કરતાં કમિશનર દ્વારા આ મામલે ડેપ્યુટી કમિશનરને તપાસ કરવાનો આદેશ કરાયા બાદ ડેપ્યુટી કમિશનરે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

વિપક્ષના પુર્વ નેતા અલ્તાફભાઈ ખફી, કોંગ્રેસના શહેર મહામંત્રી આનંદ ગોહિલ અને સાજીદભાઈ બ્લોચ તથા અન્ય વિપક્ષના કોર્પોરેટરોએ ગઈકાલે મ્યુ. કમિશનર ડી.એન.મોદીને રૂબરૂ મળીને આપેલા આવેદનમાં જણાવાયું છે કે, મનપા દ્વારા મેળાના ટેન્ડરની પક્રિયા પુર્ણ કરીને તા.24 જુલાઈ-2025ના રોજ તંત્રને રૂ.2,07,85,242ની આવક થઈ હોવાનું જાહેર કરાયું હતું. ટેન્ડરની શરતો મુજબ ડિપોઝીટની રકમ અને ભાડાના નાણા ફક્ત ડિમાન્ડ ડ્રાફ્ટથી જ સ્વીકારવાના હતા. મેળો તા.24 ઓગસ્ટના રોજ પુરો થઈ ગયો. પરંતુ હજી સુધી મહાનગરપાલિકાની તિજોરીમાં રૂ.2.07 કરોડ જમા થવાને બદલે રૂ.1.99 કરોડ જમા થયા છે. રૂ.41 લાખની વસુલાત હજી સુધી થઈ નથી.

આ રૂ.41 લાખની રકમના ગોટાળા મામલે મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના જવાબદાર અધિકારી, કન્ટ્રોલીંગ અધિકારી વગેરે સામે ભ્રષ્ટાચારમાં સંડોવણીનો કોંગીએ આક્ષેપ કરીને જો જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો. કોર્પો. સામે ઉગ્ર આંદોલનની ચિમકી આપી છે.

આથી સમગ્ર મામલે મ્યુ. કમિશનર ડી.એન.મોદીએ ડે.કમિશનર ડી.એન.ઝાલાને તાત્કાલિક તપાસ કરીને અહેવાલ આપવા સુચના આપવામાં આવી હતી. એના પગલે ડીએમસી દ્વારા આજથી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે અને ટૂંક સમયમાં જ આ સમગ્ર કૌભાંડમાં કોની કોની સંડૉવણી છે, તે અંગેનો અહેવાલ રજૂ કરાયા બાદ જ સામે આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande