પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતા હીરાબાના નામે સરોવરનું નામકરણ કરવામાં આવતા વિરોધ ઉઠ્યો છે. આના વિરોધમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના નેતૃત્વમાં સિદ્ધપુર કોંગ્રેસે જન આક્રોશ રેલી અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
તેમ છતાં, જિલ્લા તંત્ર દ્વારા 22 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી જાહેર કાર્યક્રમો, રેલી અથવા અન્ય સમારંભો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરિણામે આજે યોજાનાર કોંગ્રેસનો કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો છે.
ચંદનજી ઠાકોરે સ્પષ્ટ કર્યું છે કે, 6 ઓક્ટોબર બાદ ફરીથી રેલી માટે મંજૂરી માગવામાં આવશે. જો મંજૂરી મળશે તો લડત મજબૂતીથી ચાલુ રહેશે અને મોવડી મંડળ સાથે મળીને આગળ વધવામાં આવશે. તેમણે આ જાહેરનામાને લોકશાહી વિરોધી ગણાવ્યું અને હાઈકોર્ટમાં પડકારવાનું જાહેરાત કરી. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે નામકરણ વિવાદ અંગે તેમનો વિરોધ ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ