મહેસાણા, 23 સપ્ટેમ્બર (હિ.સ.)ઉત્તર ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાઓમાં ફૂલોના ગરબા એક અનોખું સ્થાન ધરાવે છે. નવરાત્રીના ઉત્સવો હોય કે દિવાળીની ઉજવણી, આ પરંપરાગત ગરબા તહેવારોની શોભા બમણી કરી દે છે. ફક્ત સજાવટ માટે નહીં, પરંતુ શ્રદ્ધા, મહેનત અને પેઢીથી પેઢી ચાલતી કળાનું જીવંત પ્રતિક તરીકે તેઓ ઓળખાય છે.
વિસનગર તાલુકાના કાંસા ગામના વાંસફોડા સમાજના કારીગરો વર્ષોથી આ કળાને જીવંત રાખી રહ્યા છે. કારીગર રાજેન્દ્રકુમાર બાબુભાઈ જણાવે છે કે આ કળા તેમના પરિવારમાં પેઢીઓથી ચાલી આવી છે અને તેઓ તેને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. ગરબો બનાવવાની પ્રક્રિયા મહેનતસભર છે – લાકડાનું મોચી આકાર, વાંસની પટ્ટીઓનું માળખું અને કુદરતી ફૂલોથી સુશોભિત ગૂંથણ. એક ગરબો બનાવવા ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે છે, પરંતુ તેની સુંદરતા આખી મહેનતનું મૂલ્ય વસૂલ કરી દે છે.
આ ગરબાનો ધાર્મિક અને સામાજિક મહત્વ વિશાળ છે. માતાજીની આરાધના માટે ભક્તો તેને અર્પણ કરે છે, તો ઘરમાં શણગાર માટે પણ સ્થાપિત કરે છે. દર વર્ષે કાંસા ગામના કારીગરો 50 થી 70 ગરબાનું વેચાણ કરે છે, જે લોકોની શ્રદ્ધા અને પરંપરા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.
પ્લાસ્ટિકના શણગાર વચ્ચે ફૂલોના આ પરંપરાગત ગરબા સાબિત કરે છે કે સાચી કળા અને શ્રદ્ધાનો ક્યારેય વિકલ્પ બની શકતો
નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR