જામનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગરમાં કાર્યરત ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ 'ઈટ્રા' દ્વારા આયોજીત પત્રકાર પરિષદમાં ડાયરેકટર પો. તનુજા નેસરી તથા પતાંજલિ યોગ કેન્દ્રના ડો. અર્પણ ભટ્ટ તથા સંસ્થાના પી.આર.ઓ.ચિત્રાંગદ જાની દ્વારા વિવિધ જાણકારી આપવામાં આવી હતી.
પ્રો.તનુજા નેસરીના જણાવ્યાનુસાર દર વર્ષે ધનતેરસના દિવસે ધન્વંતરી જયંતીના દિને આયુર્વેદ દિન મનાવવામાં આવતો હતો, પરંતુ એ પંચાંગ તિથિ આધારીત હોય, અન્ય દેશોમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક જ દિવસે આયુર્વેદ દિન ઉજવવામાં સુગમતા રહે એ માટે ૨૩ સપ્ટેમ્બરનો દિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહમતિથી આયુષ મંત્રાલય દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો છે.
આ વર્ષે ૧૦માં આયુર્વેદ દિનની પ્રથમ વખત ૨૩ સપ્ટેમ્બરે ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત એમ મહિના પૂર્વ થી બહુવિધ કુલ ૩૫ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સાત હજાર લોકો સીધા જોડાયા હતા. ૨૩મી સપ્ટેમ્બરે દિવસ રાત એક સમાન હોય, આયુર્વેદના સમતોલનના સિદ્ધાંતને અનુસરી ૨૩ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય આયુર્વેદ દિન ઉજવવામાં આવશે.
પત્રકાર પરિષદમાં જણાવાયા મુજબ રિલાયન્સના અનંત અંબાણી દ્વારા સ્થાપિત-સંચાલિત વિશ્વની સૌથી મોટા વન્યજીવ સંરક્ષક સંસ્થા 'વનતારા' સાથે પણ 'ઈટ્રા' ના એમ.ઓ.યુ. થયા છે. જે અંતર્ગત 'મૃગાયુર્વેદ' અંતર્ગત પ્રાણી ચિકિત્સામાં પણ આયુર્વેદના ઉપયોગનો આરંભ થશે અને વિશેષ બીજી ડિપ્લોમાં કોર્ષ અંતર્ગત ખ્યાતનામ પ્રાણી ચિકિત્સકો પાસેથી તાલીમ મેળવી તૈયાર થયેલા આયુર્વેદિક પશુ ચિકિત્સકો વનતારામાં પ્રાણીઓની આયુર્વેદિક સારવાર માટે સેવાઓ આપશે.
ઉલ્લેખનિય છે કે આ તકે ડાયરેકટર પો. તનુજા નેસરી દ્વારા 'આયુર્વેદ ફોર મીડિયા' નામથી પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે પણ એક વર્કશોપ યોજવાનો સંકલ્પ ઘોષિત કર્યો હતો. એ પણ ઉલ્લેખનિય છે કે આ વર્ષે આયુર્વેદ દિવસની ઉજવણીની આ બાબતની થીમ આયુર્વેદઃ લોકો માટે અને પૃથ્વીના કલ્યાણ માટે અનુસાર આ ઉજવણી થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt