- રૂ.2.95 કરોડના ખર્ચે નિર્મિત નવું નગર સેવાસદન જસદણ શહેરનું ઘરેણું બની રહેશે
- નાગરિકોની સુખાકારી વધે તેના માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ
રાજકોટ, 27 સપ્ટેમ્બર (હિ.સ.). આજે જસદણમાં નગરપાલિકાના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂપિયા 2.95 કરોડના ખર્ચે સાકાર થયેલું સુવિધાસભર નવું નગર સેવાસદન જસદણ શહેરના ઘરેણાં સમાન બની રહેશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
જસદણ શહેર વચ્ચે નિર્માણ પામેલા અદ્યતન નગરસેવા સદનને ખુલ્લુ મુકતા મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં જસદણ શહેર વધુ સુંદર, સમગ્ર રીતે વિકસિત બને અને લોકોની સુખાકારી વધે તેવા પ્રયાસો સતત ચાલી રહ્યા છે. આ ભવનમાંથી લોકોની રજૂઆતો, પ્રશ્નોનો સરળતાથી અને સમયસર નિકાલ થશે અને નાગરિકોની સુખાકારીને લગતા કામો સતત થતા રહેશે તેવી ખાતરી તેમણે આપી હતી.
જસદણ વિછીયા પંથકમાં પીવાના પાણીની કરાયેલી વ્યવસ્થાઓનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રી કહ્યું હતું કે, સૌની યોજનાનું પાણી નિયમિત રીતે આલણ સાગર ડેમમાં ઠલવાય અને આ વિસ્તારમાં નિયમિત પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જસદણ શહેરમાં પીવાના પાણી પુરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. શહેરમાં હાલ રિવરફ્રન્ટ તેમજ પૂર સંરક્ષણ દિવાલના કામ ઝડપથી આગળ વધારવામાં આવશે.
આ પંથકમાં શિક્ષણની સુવિધાઓ, રમત-ગમત સંકુલ સહિતની કરાયેલી વ્યવસ્થાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, જસદણમાં હાલ નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું કામ પણ ગતિમાં છે.
મંત્રીએ કહ્યું હતું કે, વિચરતી વિમુક્ત જાતિના આવાસ વિહોણા લોકોને પાક્કું મકાન મળી રહે તે માટે સઘન કવાયત હાથ ધરીને, જસદણ તથા વિંછીયા તાલુકાના આશરે એક હજાર જેટલા લોકોને 100 વારના સરકારી પ્લોટ આપવામાં આવ્યા છે. તેમાંથી 450 જેટલા લોકોની મકાન બનાવવા માટે આવાસ યોજના અંતર્ગત રૂ. 4-4 લાખની સહાય પણ મંજૂર કરાવી દેવામાં આવી છે. નાગરિકોને દરરોજ માથાદીઠ 70 લીટરથી વધીને 100 પાણી મળી રહે તેવી વ્યવસ્થા અને કામો ગતિમાન હોવાનું તેમણે ઉમેર્યું હતું.આ તકે નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર મહેશ જાનીએ જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ.2.95કરોડના ખર્ચે જસદણમાં અ વર્ગની નગરપાલિકા જેવું નવું નગર સેવાસદન બનાવવામાં આવ્યું છે. હાલમાં શહેરી વિકાસ વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે રાજ્યમાં શહેરીજનોની સુખાકારી માટે રાજ્ય સરકારે અનેકવિધ આયોજનો કર્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર/હર્ષ શાહ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ