પાટણ, 3 સપ્ટેમ્બર (હિ.સ.): શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા આરાસુરી જગતજનનીના પાવન ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહાકુંભ મેળાનું વિધિવત્ ઉદ્ઘાટન થઈ ગયું છે. આ ભક્તિમય મેળો 7 સપ્ટેમ્બર, 2025 સુધી ચાલશે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને ઉમટી રહ્યાં છે.
ગુજરાત સહિત સમગ્ર દેશના વિવિધ પ્રાંતોમાંથી પદયાત્રાળુઓ જગદંબાના દર્શન માટે અંબાજી તરફ કઠિન યાત્રા પર નિકળી ચૂક્યા છે. માતાજીને નવરાત્રીમાં પોતાના ઘેર પધારવા આમંત્રણ આપવા માટે ભક્તો ઉમટી પડ્યા છે. ભાદરવા સુદ દશમની રાત્રે પાટણ શહેર અને જિલ્લાના અનેક યુવક મંડળો અને યુથ ક્લબોએ માતાજીની માંડવીઓ સાથે અંબાજી તરફ વાજતે ગાજતે પ્રસ્થાન કર્યું હતું. શહેરના બગવાડા ચોક ખાતે પદયાત્રિકો ભેગા થતાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.
ઝીણીપોળ યુથ કલબના 100 જેટલા પદયાત્રિકો, ગુર્જરવાડા યુથ કલબ, નાગરલીમડી યુવક મંડળ, બીએસપી મંડળ, બત્તીવાડા, હરસિદ્ધ સંઘ, મણીભદ્ર, રાજપુર, દ્વારકેશ, બળીયાપાડા, કસારવાડ, અનાવાડા પાટીદાર યુથ ક્લબ અને લોટેશ્વર યુવક મંડળ સહિત અનેક મંડળોએ પોતાની માંડવીઓ સાથે ભક્તિભર્યા ઉલ્લાસમાં બગવાડા દરવાજા સુધી યાત્રા કરી. બગવાડા ચોકમાં તમામ સંઘો એકઠા થતાં જય જયકારના નાદ સાથે ધાર્મિક માહોલ ઊભો થયો. ત્યારબાદ આ સંઘો અંબાજી તરફ આગળ વધ્યા. ભક્તોએ બોલ મારી અંબે, જય જય અંબેના ગૂંજતા નાદ વચ્ચે માતાજીના માર્ગે યાત્રા આરંભી હતી. મોટી સંખ્યામાં લોકો તેમને વિદાય આપવા ઉપસ્થિત રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ