જામનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર જિલ્લાના રાવલસર ગામે નવનિર્મિત આંગણવાડી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, બાળકો એ રાષ્ટ્રનું ભવિષ્ય છે. તેમને પાયાના સ્તરે સારું શિક્ષણ અને પૂરતું પોષણ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે. રાવલસર ગામનું આ નવું આંગણવાડી ભવન માત્ર ઈમારત નથી, પરંતુ તે ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ આંગણવાડી ભવનમાં બાળકો માટે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જે તેમને રમતાં-રમતાં શીખવામાં અને સ્વસ્થ રહેવામાં મદદ કરશે. આ લોકાર્પણથી રાવલસર ગામના લોકોમાં ભારે હર્ષ અને સંતોષની લાગણી જોવા મળી હતી. ગ્રામજનોએ આ અદ્યતન સુવિધા પૂરી પાડવા બદલ રાજ્ય સરકાર અને રાઘવજીભાઈનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા તેમજ અગ્રણીઓ કુમારપાલસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ભટ્ટી, વિસ્તારના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt