મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી શહેરમાં નવરાત્રીની 200 વર્ષથી ચાલતી આવતી પરંપરા આજે પણ અવિરત ધબકે છે. જ્યાં પાર્ટી પ્લોટ અને કોમર્શિયલ ગરબાની ચમક વધી રહી છે, ત્યાં કડીની પોળોમાં માતાજીની માંડવી ઊભી કરીને આરતી-પૂજા કરવાની પ્રાચીન રીત જળવાઈ છે. પોળોની દરેક માંડવી રંગીન કાગળ, બાંસ અને શ્રદ્ધાભાવે તૈયાર થાય છે, જે સંસ્કૃતિ અને વારસાની યાદ અપાવે છે.
જૂના કડીમાં ભાવપુરા, કરણપુર, દેસાઈવાડો, પાડાપોળ અને તંબોળીવાસ સહિત 10થી વધુ સ્થળોએ માંડવીઓ ઊભી થાય છે. અંબાજી, ખોડીયાર, બહુચર અને મહાકાળી જેવી માતાજીની પૂજા ખાસ શ્રદ્ધા સાથે થાય છે. પેઢીથી પેઢી ચાલતી આ પરંપરામાં ગામના બહારગામ રહેતા લોકો પણ આઠમ અને દશમના દિવસે ખાસ હાજરી આપે છે.
ડૉ. અલ્પેશ પ્રજાપતિ જણાવે છે કે પોળોની આરતીને જીવંત રાખવા માટે “નવ દુર્ગા યુવક મંડળ” સતત પ્રયત્નશીલ છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં પોળોમાં થતી આરતી અને ગરબામાં ભક્તોની સંખ્યા વધતી ગઈ છે.
મલ્હારરાવ ગાયકવાડના સમયમાં શરૂ થયેલી આ પરંપરા આજે પણ સમાજને એકતા અને ભક્તિનો સંદેશ આપે છે. કડીની માંડવીઓ માત્ર ધાર્મિકતા નહીં, પણ ઈતિહાસ, વારસો અને સાંસ્કૃતિક ગૌરવની ઝાંખી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR