નવસારી , 30 સપ્ટેમ્બર (હિ.સ.) નવસારી જિલ્લામાં ચાલી રહેલી પોસ્ટકાર્ડ ઝુંબેશ અંતર્ગત નવસારી તાલુકા ખરીદ વેચાણ સંઘના સભાસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો છે. સંઘના પ્રમુખ દિલીપરાયકાએ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ લેવાયેલા પરિવર્તનકારી નિર્ણયો અને નીતિઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ નીતિઓએ ગ્રામીણ વિકાસને એક નવી દિશા આપી છે, જેના પરિણામે ગ્રામીણ અર્થતંત્રને નવું જોમ અને ગતિ પ્રાપ્ત થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલયની સ્થાપના થવાથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી મળી છે એમ કહેતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ મંત્રાલય ખેડૂતોને ખૂબ જ મદદરૂપ થઈ રહ્યું છે. ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ જ તમામ જરૂરી સુવિધાઓ મળી રહે છે, જેના પરિણામે ખેડૂતોને સમય અને પૈસા બંનેની બચત થાય છે . આ નિર્ણયોને કારણે સહકારી મંડળીઓ વધુ સશક્ત બનીને આગળ આવી રહી છે.
વડાપ્રધાની નીતિઓ અંતર્ગત GSTમાં કરાયેલા સુધારાઓએ વેપાર અને ઉદ્યોગોને વધુ સરળ અને પારદર્શી બનાવ્યા છે. વધુમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, GST ઘટવાથી વસ્તુઓની કિંમત ઓછી થઈ છે, જેનાથી ગ્રાહકોની ખરીદ શક્તિમાં વધારો થયો છે. આના પરિણામે દુકાનદારોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં, વડાપ્રધાનના નવા GST સુધારાથી ખેતીના કામમાં પણ ઘણી સરળતા થઈ છે. આ સુધારાઓ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ઘર ઘર સ્વદેશી'ના સંદેશાએ ગામડાઓમાં સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. દિલીપભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ બદલાવ લાવીને વડાપ્રધાન મોદીએ ગ્રામીણ અર્થતંત્રને નવી શક્તિ પ્રદાન કરતી આ તમામ પરિવર્તનકારી નીતિઓ માટે તેમણે વડાપ્રધાનનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો . નવસારી તાલુકા ખરીદ વેચાણ સંઘ હેઠળ નવસારી અને જલાલપોર તાલુકાની 76 મંડળીઓના કુલ 1700 જેટલા સભાસદો પોસ્ટકાર્ડ લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખીને તેમનો આભાર માન્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે