મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) વિસનગર સબજેલમાંથી માંદગીનો બહાનો બનાવી ફરાર થયેલો આરોપી વિશાલસિંહ ચાવડા અંતે પોલીસે 48 કલાકમાં ઝડપી લીધો છે. છેતરપિંડીના ગુનામાં સજા ભોગવી રહેલો વિશાલસિંહ જેલમાંથી ભાગી છૂટતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.
માહિતી મુજબ, આરોપી જેલમાં સ્વાસ્થ્ય ખરાબ હોવાનું દર્શાવી બહાર નીકળ્યો અને તક મળતાં જ ભાગી છૂટ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક સ્થાનિક પોલીસ સાથે LCBની ટીમને સક્રિય કરી હતી. તપાસ દરમિયાન આરોપીના હિલચાલના સૂત્રો મળી આવતા ગાંધીનગરના ઘ-5 વિસ્તારમાં બિન-ડ્રેસમાં ઘેરાબંધી કરીને પોલીસે તેને દબોચી લીધો હતો.
પોલીસે ફરાર આરોપીને ફરીથી કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેલમાંથી ફરાર થવાની આ ઘટનાને લઈ જેલ સુરક્ષા વ્યવસ્થાની પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે.
આ રીતે માત્ર બે દિવસમાં જ ફરાર આરોપીને પકડી પાડતાં પોલીસની ઝડપી કામગીરીની પ્રશંસા થઈ રહી છે, જ્યારે જેલની સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક સવાલો ઊભા થયા છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR