સુરત, 8 સપ્ટેમ્બર (હિ.સ.)- શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ સારોલી ઓવરબ્રિજ પર એક આધેડ પોતાની બાઈક લઈને પૂરપાટ ઝડપે રોંગ સાઈડમાં જતો હતો. આ સમયે સામેથી આવતી સરકારી બસ સાથે તેમની બાઈક અથડાઈ ગઈ હતી. જેના કારણે તેમને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ તથા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતક આધેડ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે ઓલપાડમાં બ્રહ્માકુમારી ની સામે આવેલા ઉમિયા કોમ્પલેક્ષમાં રહેતા ભાવેશકુમાર ભીખાભાઈ બારોટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 6/9/2025 ના રોજ સાંજે 07:45 થી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ સારોલી ઓવર બ્રિજ ઉપરથી તેઓ પસાર થતા હતા. આ દરમિયાન એક જીજે.19.એબી 8629 નંબરની બાઈક લઈ 58 વર્ષીય રમેશભાઈ ઇશ્વરભાઇ પટેલ (રહે પટેલ નગર જહાંગીરપુરા) ઓવરબ્રિજની ઉપર રોંગ સાઈડ એ પુરપાટ ઝડપે પસાર થતા હતા. આ સમયે સામેથી આવતી જીજે.18.ઝેડટી.0779 નંબરની સરકારી બસમાં ધડાકાભેર તેમની બાઇક ઘૂસી ગઈ હતી. જેના કારણે તેમને શરીરે તથા માથામાં ગંભીર ઇજાઓ થતા તેમને 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે પોલીસે રમેશભાઈ પટેલ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે