
પોરબંદર, 01 જાન્યુઆરી (હિ.સ.)રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, ગુજરાત રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વાદળછાયા વાતાવરણ અને સંભવિત માવઠાને અનુલક્ષીને પોરબંદર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં પાક સંરક્ષણ માટેની કેટલીક મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
કમોસમી વરસાદથી થતા નુકસાનને અટકાવવા માટે ખેડૂતોએ ખેતરમાં કાપણી કરેલ પાક જો ખુલ્લામાં હોય તો તેને તત્કાલ સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા સલાહ આપવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલ માટે ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી પાણી અંદર જતું અટકાવવા ખાસ તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત, આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓનો છંટકાવ અને ખાતરનો ઉપયોગ ટાળવો તેમજ બિયારણ અને ખાતરનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવો.
રાજ્યની વિવિધ એ.પી.એમ.સી.માં વેપારીઓ અને ખેડૂત મિત્રોએ પણ પૂરતી સાવચેતી રાખવા અનુરોધ કરાયો છે. માર્કેટ યાર્ડમાં રહેલ અનાજ અને અન્ય ખેત પેદાશોને શેડ નીચે અથવા તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત રાખવા તેમજ આ દિવસો દરમિયાન વેચાણ અર્થે લાવવામાં આવતી જણસોને ટાળવા અથવા પૂરતી સુરક્ષા સાથે લાવવા જણાવવામાં આવ્યું છે.
તેમજ વધુ માહિતી કે માર્ગદર્શન માટે ખેડૂતોએ જે-તે વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 18001801551પર સંપર્ક કરવા પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya