
જામનગર, 11 જાન્યુઆરી (હિ.સ.) : ''સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ''ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ''તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' યોજવાનું સૂચન કર્યું છે.
જે અનુસાર જામનગર તાલુકામાં ''તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' આગામી તા.૨૧-૦૧-૨૦૨૬ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર જામનગર(શહેર)ના મિટિંગ હોલમાં યોજવામાં આવશે.
તેથી આગામી તા.૧૬-૦૧-૨૦૨૬ પહેલા અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જામનગર(શહેર)ને મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ અત્રે જણાવેલી તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જે અન્વયે,
(1) તાલુકા કક્ષાએ તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ, અને તે અરજીની તારીખે અનિર્ણિત રહેલી હોવી જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે.
(2) કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ.
(3) કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે.
(4) કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં.
(5) તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલાં કોઈપણ અરજદારે ગ્રામ્યકક્ષાના પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કે ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ.
જામનગર તાલુકાના નાગરિકોને તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે મામલતદાર, જામનગરની(શહેર)યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt