
સોમનાથ 13 જાન્યુઆરી (હિ.સ.) ઉતરાયણ પર્વ નિમિત્તે આકાશમાં વિહરતા પક્ષીઓના જીવ જોખમાય નહીં તે હેતુથી વન વિભાગ દ્વારા નાગરિકોને વિશેષ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. પતંગની દોરીથી પશુ-પંખીઓને થતી ઇજાઓ અટકાવવા અને પર્યાવરણની જાળવણી માટે વન વિભાગે માર્ગદર્શિક સૂચનાઓ જાહેર પણ કરી છે.
તા. ૧૦-૦૧-૨૦૨૬ થી ૨૦-૦૧-૨૦૨૬ ઉતરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી નિર્દોષ પશુ-પંખીઓની જીવ ન હણાય તેવી કાળજી લેવા માટે ચાઇનીઝ અને સિન્થેટીક દોરીનો વેચાણ, સંગ્રહ કે ઉપયોગ કરવો તે ગુન્હો બનતો હોઈ તેનો ઉપયોગ ન કરીએ.
પતંગ સવારના ૯-૦૦ વાગ્યાથી ૫-૦૦ દરમ્યાન ઉત્તરાયણના દિવસે જ ચગાવીએ કારણ કે, તે સમય દરમિયાન પક્ષીઓની અવર જવર ખુબ જ ઓછી હોય છે.
વૃક્ષો, ઇલેકટ્રીક અને ટેલીફોન લાઈનની ઉપર લટકતા પક્ષીઓને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં ન મુકીએ. સાથે જ ઘાયલ પક્ષી ઉપર પાણી ન રેડીએ, તેમજ તેની ઉપર દોરી વીટાળાઈ ગઈ હોય તો એને ખેંચીને દુર કરવાનો પ્રયત્ન ન કરીએ. જરૂર પડે દોરીને કાતરથી કાપીને દુર કરીએ.
જો પક્ષીને લોહી નીકળતું હોય તો એવા સંજોગોમાં એના ઘા ઉપર હળવેથી રૂ મુકીને લોહી નીકળતું બંધ કરીએ અને શાંતિથી અને ખલેલ કર્યા વગર નજીકના સારવાર કેન્દ્ર ખાતે લઈ પહોંચતું કરીએ.
ઘાયલ થયેલા પક્ષીઓને તાલીમ પામેલ સ્વયં સેવકોએ જ પક્ષીને બચાવવાની કામગીરી કરવી જોઈએ, દોરીના ગુંચડા જયાં ત્યાં ફેકશો નહીં અને જયાં ત્યાં લટકતા દેખાય તો તેનો યોગ્ય નિકાલ કરીએ.
ઉત્તરાયણના દિવસે ટુક્કલ ન ચઢાવીએ તથા ફટાકડા ફોડવાના ટાળી પક્ષીઓને તથા માનવ જાતને થતી નુકશાની અટકાવીએ. ધાયલ પક્ષી જોવા મળે તો નજીકના પક્ષી બચાવો કેન્દ્રનો સંપર્ક કરીએ અથવા રાજય હેલ્પલાઇન નં. ૮૩૨૦૦૦૨૦૦૦ પશુપાલન વિભાગના ટોલ ફ્રી નંબર ૧૯૬૨ અથવા વન વિભાગના ૧૯૨૬ નંબર ઉપર જાણ કરીએ, તેમ નાયબ વન સંરક્ષકશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ