
જામનગર, 19 જાન્યુઆરી (હિ.સ.) :
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા મકરસંક્રાંતિ પર્વને અનુલક્ષીને સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગત સપ્તાહ દરમિયાન શહેરના 60 જેટલા સ્થળોએ તપાસ કરીને ફૂડ અને પીવાના પાણીના કુલ 60 નમૂના લેવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી અંતર્ગત શહેરની જુદી જુદી દુકાનો અને ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા 40 જેટલા એકમોમાં ચેકિંગ કરાયું હતું. અહીંથી ચીકી, તલ-રાજગરાના લાડુ, દેશી ગોળ, ફાફડા, જલેબી, ઓઈલ, બેસન અને ઊંધિયા સહિતના કુલ 40 ફૂડ નમૂના લઈ પરીક્ષણ અર્થે વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. આ કામગીરી કમિશનર ડી.એન. મોદીની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
સંભવિત રોગચાળાને ધ્યાનમાં રાખીને, શહેરમાં પીવાના પાણીનો વેપાર કરતા 20 જેટલા વિતરકોને ત્યાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું. પોલીશ ચોકી, સુભાષ માર્કેટ, રણજીત રોડ, ગ્રેઇન માર્કેટ, હવાઈ ચોક જેવા વિવિધ વિસ્તારોમાંથી 20 લૂઝ ડ્રિંકિંગ વોટરના નમૂના લઈ ઢીચડા ખાતેની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
આ ઉપરાંત, તા. 18/01/2026ના રોજ નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલ હઝરત પીર હાજીશાહ ડાડાની જગ્યાએ યોજાનાર ઉર્ષના મેળામાં ન્યાઝના કાર્યક્રમમાં મીઠા ભાતનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જરૂરી હાઈજેનિક કન્ડિશન જાળવવા અંગેની સૂચનાઓ આપી નિરીક્ષણ કરાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt