
જામનગર, 04 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર પંથકમાં યુવાવસ્થામાં હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુનો સિલસિલો યથાવત રહ્યો છે, અને જોગવડ ગામમાં ૨૫ વર્ષના એક યુવકને પોતાના ઘેર બાથરૂમમાં હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજયું છે. મૃતક યુવાનના વિસરા લઈને લેબોરેટરી માં મોકલાવાયા હતા, જેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા આકસ્મિક મૃત્યુ અંગેની નોંધ કરવામાં આવી છે. મૃતકના પરિવારને ન્યાય મળે તે માટે એસ.પી. ડો. રવિ મોહન સૈની એ અંગત રસ દાખવ્યો હતો.
જામનગર નજીક જોગવડ ગામ ના પાટીયા પાસે રામાપીરના મંદિરની બાજુમાં રહેતો જીવણ મુરુભાઈ કારિયા નામનો 25 વર્ષનો ગઢવી જ્ઞાતિનો યુવાન પોતાના ઘેર બાથરૂમમાં ગયા પછી બાથરૂમમાંથી લાંબો સમય સુધી બહાર આવ્યો ન હતો. તેનો દરવાજો અંદરથી બંધ હતો, અને કોઈ અવાજ આવતો ન હતો.
જેથી પરિવારના અન્ય સભ્યોએ દરવાજો ખખડાવતાં ખોલ્યો ન હતો. આથી તે દરવાજો તોડીને અંદર જોતાં જીવણભાઈ બેશુદ્ધ અવસ્થામાં પડ્યો હતો. જેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ દેવરાજ મુરુભાઈ કારીયાએ પોલીસને જાણ કરતાં મેઘપરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ એચ નોઈડા જે તે વખતે જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતકના વિસરા લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. દરમિયાન મૃતકના પરિવાર કે જેમાં મૃતક યુવાન ની પત્ની અને દોઢ વર્ષના સંતાન સાથે જોગવડ વિસ્તારમાં રહેતો હતો, અને મજૂરી કામ કરતો હતો.
જે પરિવારનો આશરો છીનવાઈ જતા મૃતક યુવાન નો વીમો ઉતરાવ્યો હોવાથી અન્ય સગા સંબંધીઓ દ્વારા વીમા કંપની નો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેમાં પોલીસ રિપોર્ટ ની જરૂરિયાત હતી.
દરમિયાન આ મામલો જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની સમક્ષ પહોંચ્યો હતો, અને તેઓએ તાત્કાલિક અસરથી વિસરાના રિપોર્ટ ના આધારે મેઘપર પડાણા પોલીસ મથકમાં આકસ્મિક મૃત્યુ અંગે નોંધ કરી તેનો રિપોર્ટ જાહેર કરવા જણાવ્યું હતું, જેથી મેઘપર પડાણા પોલીસ મથકમાં ગઈકાલે અકસ્માત મૃત્યુ નોંધ કરવામાં આવી છે. મૃતકનું હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ નીપજ્યું હોવાનું રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt