
મહેસાણા, 04 જાન્યુઆરી (હિ.સ.) માન. ધારાસભ્ય ખેરાલુ વિધાનસભા મતવિભાગની ઉપસ્થિતિમાં કલેક્ટરે સતલાસણા તાલુકોના ઉમરેચા ગામ ખાતે અરવલ્લીની ગિરિમાળામાં આવેલ પ્રસિદ્ધ મહાકાલી માતાજીનું મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ મંદિર વિસ્તારમાં પ્રવાસન પ્રવૃત્તિઓના વિકાસ તથા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ અને આવશ્યક સુવિધાઓ અંગે ચર્ચા-વિચારણા કરવાનો હતો.
મુલાકાત દરમિયાન મંદિર સુધી પહોંચવાના માર્ગ, પાર્કિંગ વ્યવસ્થા, પીવાનું પાણી, સ્વચ્છતા, શૌચાલય, બેઠકો, લાઇટિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મંદિરના આસપાસના કુદરતી સૌંદર્યને જાળવી રાખીને પ્રવાસનને કેવી રીતે પ્રોત્સાહન આપી શકાય તે મુદ્દે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. ધાર્મિક પ્રવાસીઓની વધતી આવકને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવા અંગે સૂચનો કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સ્થાનિક રોજગારની તકો, સ્વ-રોજગાર, સ્થાનિક હસ્તકલા અને નાના વેપારને પ્રોત્સાહન મળે તે દિશામાં પણ ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે સંબંધિત વિભાગોને સ્થળ નિરીક્ષણ બાદ જરૂરી આયોજન તૈયાર કરવા દિશાનિર્દેશ આપ્યા હતા. આ મુલાકાતથી મહાકાલી માતાજીના મંદિરને ધાર્મિક સાથે સાથે પર્યટન દૃષ્ટિએ પણ વિકસિત કરવાની દિશામાં સકારાત્મક પહેલ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR