
મહેસાણા, 04 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીએ ખેરાલુ વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ આંકલીયારા ગામ ખાતે આવેલ મતદાન મથકની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવાનો હતો.
મુલાકાત દરમિયાન અધિકારીએ મતદાન મથક પર ઉપલબ્ધ મતદારયાદી, ફોર્મ-6, 7 અને 8 સંબંધિત પ્રક્રિયા, નવા મતદારોની નોંધણી, સ્થળાંતરિત તથા અવસાન પામેલ મતદારોના નામ દૂર કરવાની કામગીરી તેમજ વિગતોની ચોકસાઈ અંગે તપાસ કરી હતી. સાથે સાથે BLO દ્વારા કરવામાં આવતી ઘરઘર સર્વે કામગીરી, દસ્તાવેજોની ચકાસણી અને ડેટા અપડેશન પ્રક્રિયા અંગે પણ માહિતી મેળવી હતી.
અધિકારીએ મતદારયાદી સંપૂર્ણપણે ભૂલરહિત, પારદર્શક અને સમયસર સુધારાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પાત્ર નાગરિકોનું નામ મતદારયાદીમાં સામેલ થાય અને અયોગ્ય નોંધો દૂર થાય તે માટે વધુ સઘન કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત મતદારોમાં જાગૃતિ વધારવા માટે માહિતી પ્રસાર, બેનર-પોસ્ટર અને સ્થાનિક સ્તરે સંપર્ક વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ મુલાકાતથી SIR કાર્યક્રમની કામગીરી વધુ મજબૂત બનશે અને લોકશાહી પ્રક્રિયામાં વિશ્વસનીયતા વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR