
- કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળિયા,રાજેશ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી નીમુબેન સહિત 3 સાંસદ અને 15 ધારાસભ્યોની હાજરી
ગાંધીનગર,05 જાન્યુઆરી (હિ.સ.) બગદાણા હુમલાના વિવાદમાં સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.
બગદાણા હુમલા વિવાદમાં કોળી સમાજના નેતાઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રીને મળ્યા,જોકે, આ મામલે તપાસ કરવા SITની રચના કરવામાં આવી છે.
બગદાણાના વિવાદમાં આજે કોળી સમાજના આગેવાનોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યત્વે ભાવનગર જિલ્લાના બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલાની ન્યાયિક તપાસની માગ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર આ મામલામાં ષડયંત્ર રચ્યાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.
બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસો દ્વારા 29 ડિસેમ્બર,2025ના રાત્રિના કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે. નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીત બાલધિયાના 1 જાન્યુઆરી, 2026ના રોજ ખબર અંતર પૂછવા ગયેલા રાજુલાના ધારાસભ્યએ આ મામલે સોમાવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને મળી રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો. બગદાણા ધામના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસની ન્યાયિક તપાસ કરવાની માગ સાથે આજે કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી.
જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિત 15 ધારાસભ્યોએ મળી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું હતું કે, અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી. કોળી સમાજના યુવક પર જે રીતે હુમલો થયો છે તેની ન્યાયિક તપાસ થાય તેવી અમારી માગ છે. અમે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તપાસ કરાવવાની માગણી કરી છે. મુખ્યમંત્રી દ્વારા અમને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ