
જામનગર, 05 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર જિલ્લાના શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારીની ઉત્તમ તકો મળી રહે તેવા ઉમદા હેતુથી જિલ્લા રોજગાર કચેરી જામનગર તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા -જામનગર દ્વારા સંયુક્તપણે આગામી તા. ૦૭/૦૧/૨૦૨૬ ના રોજ એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં જામનગર જિલ્લાના ખાનગી ક્ષેત્રના નામાંકિત અને પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રોજગારવાંચ્છુ ઉમેદવારોની લાયકાત મુજબ વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક ઇન્ટરવ્યુ લઈ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જે યુવાનો એપ્રેન્ટીસશીપ હેઠળ તાલીમ મેળવીને પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોય તેમના માટે આ એક અમૂલ્ય તક છે.
ભરતીમેળામાં સામેલ થવા ઈચ્છતા તમામ ઉમેદવારોએ પોતાના અધ્યતન બાયો-ડેટા, તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ, અનુભવના પ્રમાણપત્રો તેમજ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે સવારે ૧૦:૦૦ કલાકે, સેમિનાર હોલ, ચોથો માળ, આઈ.ટી.આઈ. કેમ્પસ, જામનગર ખાતે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે. તેમજ વધુમાં વધુ યુવાનોને આ તકનો લાભ લેવા આચાર્ય, આઈ.ટી.આઈ. જામનગર તથા જિલ્લા રોજગાર અધિકારી જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt