
પોરબંદર, 07 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભોદ ગામ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) યોજનાના અંતર્ગત ખેડૂત ભાઈઓ માટે પ્રાકૃતિક ખેતી અંગેની જિલ્લા સ્તરની તાલીમ ઘટકની કામગીરી યોજાઈ હતી. આ તાલીમ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં બહોળા પ્રમાણમાં ખેડૂત ભાઈઓ હાજર રહ્યા હતા.
તાલીમ દરમિયાન તાલુકા પ્રોજેક્ટ મેનેજર સવન રાઠોડ, આસિસ્ટન્ટ ટીમ મેનેજર રાજ કારેણા દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાની આવશ્યકતા ઉપર જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વર્તમાન સંજોગોમાં પ્રાકૃતિક ખેતી માત્ર વિકલ્પ નહીં પરંતુ તાત્કાલિક જરૂરિયાત બની ગઈ છે તેમ જણાવતાં તેમણે તેની આર્થિક, પર્યાવરણીય તથા આરોગ્યલક્ષી ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે રવિ પાકો તેમજ પિયત અને બિન પિયત પરિસ્થિતિમાં ચણા પાક સફળતાપૂર્વક કેવી રીતે લઈ શકાય તે અંગે તેમજ પ્રાકૃતિક ખેતીના અસ્ત્રો શસ્ત્રો જેમકે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક અંગે ખેડૂતોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya