
નવસારી,10 માર્ચ (હિ.સ.) ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની આહલેક જગાવનાર રાજયપાલ આચાર્ય દેવવ્રત આજથી બે દિવસ 11 અને 12 માર્ચના રોજ નવસારી જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે. તેમના આગમન પૂર્વે ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.
11 માર્ચના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સવારે 11 કલાકે વાંસદાના મનપુર ગામે હેલિપેડ પર ઉતરાણ કરશે. ત્યારબાદ બપોર પછી 3.15 કલાકે રૂમલા ગામે જાહેર સભા સંબોધશે.
આ સાથે જ ગ્રામ કલ્યાણ કાર્યક્રમ, અલગ અલગ સ્ટોલની મુલાકાત, સ્વચ્છતા અભિયાન અને રાત્રિ ગ્રામસભાના કાર્યક્રમમાં તેઓશ્રીની ગરિમામય ઉપસ્થિતિ રહેશે.
બીજા દિવસે 12 માર્ચના રોજ સવારે યોગા અભ્યાસ, ગાય દોહન કરી પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લેશે. બાદમાં,. 12 માર્ચના રોજ સવારે 10.30 કલાકે નવસારીમાં વિશ્વ વિદ્યાલય ભવન પાસે આવેલા અસ્પી ઓડિટોરિયમમાં યોજાનાર નવસારી કૃષિ યુનિવર્સિટીના 21માં વાર્ષિક પદવીદાન સમારંભના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય અને વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ તરીકે રાજપાલ દેવવ્રત ઉપસ્થિત રહેશે.
તેમની સાથે આ સમારંભમાં અતિથિ વિશેષ તરીકે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસવર્ધન, મત્સ્યોદ્યોગ અને પ્રોટોકોલ વિભાગના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારા ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાન તરીકે મહારાષ્ટ્રના નાગપુરની પશુ અને મત્સ્ય વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ ડો.એન.વી.પાટીલ ઉપસ્થિત રહી પદવીદાન સમારોહને સંબોધશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ