ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં નવા વિશ્વ વ્યવસ્થામાં ભારતની ભૂમિકા વિષયે મંથન
જૂનાગઢ, 15 માર્ચ (હિ.સ.) : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાત (kcg)ના દ્વારા “વૈશ્વિક વેપારની બદલાતી ગતિશીલતા અને નવા વિશ્વ વ્યવસ્થામાં ભારતની ભૂમિકા: ૨૦૪૭ સુધીમાં અમૃત કાળનું વિઝનિંગ” વિષય પર એક દિવસીય આંતરરાષ્ટ્ર
ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત


જૂનાગઢ, 15 માર્ચ (હિ.સ.) : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાત (kcg)ના દ્વારા “વૈશ્વિક વેપારની બદલાતી ગતિશીલતા અને નવા વિશ્વ વ્યવસ્થામાં ભારતની ભૂમિકા: ૨૦૪૭ સુધીમાં અમૃત કાળનું વિઝનિંગ” વિષય પર એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પરિષદમાં વૈશ્વિક વેપારની બદલાતી પરિસ્થિતિઓ, નવા વિશ્વ વ્યવસ્થામાં ભારતની ભૂમિકા, તેમજ અમૃત કાલ @ ૨૦૪૭ ના દ્રષ્ટિકોણ સાથે ભારતના આર્થિક વિકાસ અને વ્યાપારિક તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. દેશ-વિદેશના પ્રતિષ્ઠિત શિક્ષણવિદો, સંશોધકો, ઉદ્યોગજગતના નિષ્ણાતો તથા સંશોધન વિદ્યાર્થીઓ પોતાના સંશોધનપત્રો અને વિચારો રજૂ કર્યા હતા.

આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક વેપારના નવા ટ્રેન્ડ્સને સમજવો, ભારત માટે ઊભી થતી તકો અને પડકારો પર ચર્ચા કરવી તેમજ શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રમાં નવી દિશાઓ પ્રદાન કરવાનો રહ્યો હતો, સાથે આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા માટે શિક્ષણવિદો, સંશોધકો અને રસ ધરાવતા વ્યક્તિ વિશેષને આમંત્રિત કરી વૈશ્વિક વેપાર અને ભારતના ભવિષ્યના દ્રષ્ટિકોણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા મંચ પૂરો પાડવામાં આવ્યો હતો.

કાર્યક્રમનાં અધ્યક્ષ અને યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહ ચૈાહાણે પોતાનાં પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે આજના સમયમાં વૈશ્વિક વેપાર ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે. ટેકનોલોજી, ડિજિટલાઇઝેશન, ભૂ-રાજકીય પરિસ્થિતિઓ, સપ્લાય ચેઇનની નવી વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સહકારના નવા માળખાઓના કારણે વિશ્વના વેપારની ગતિશીલતા સતત બદલાતી રહી છે. આ બદલાતી પરિસ્થિતિમાં ભારતની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ બની રહી છે.

આ એક દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યશાળાનાં મુખ્ય વક્તા અને ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન વિશ્વ વિદ્યાલયનાં પૂર્વ કૂલપતિ પ્રો. નાગેશ્વર રાઓએ જણાવ્યુ હતુ કે, વૈશ્વિકીકરણ (Globalization) ના નવા તબક્કામાં દેશો વચ્ચે વેપાર માત્ર આયાત-નિકાસ સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ તેમાં ટેકનોલોજી ટ્રાન્સફર, ડિજિટલ વેપાર, ઈ-કોમર્સ, સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અને નવીનતા (Innovation) પણ મહત્વના બની ગયા છે. અમેરિકા, ચીન, યુરોપિયન યુનિયન જેવા મોટા આર્થિક શક્તિઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધા અને સહકાર બંને વૈશ્વિક વેપારના માળખાને અસર કરે છે. COVID-19 મહામારી પછી સપ્લાય ચેઇનનું પુનઃગઠન, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન અને વિશ્વસનીય વેપાર ભાગીદારો શોધવાની પ્રક્રિયા વધુ તેજ બની છે, આ પરિસ્થિતિમાં ભારત એક મહત્વપૂર્ણ ઉદયમાન આર્થિક શક્તિ તરીકે આગળ વધી રહ્યું છે.

સેમિનારનાં મુક્ત વક્તા ડો. મમતા પ્રજાપતિએ મેક ઈન ઈન્ડિયા”, “ડિજિટલ ઈન્ડિયા”, “સ્ટાર્ટઅપ ઈન્ડિયા”, “આત્મનિર્ભર ભારત” જેવી પહેલો દ્વારા ભારત ઉત્પાદન, ટેકનોલોજી અને સેવાઓના ક્ષેત્રમાં પોતાની મજબૂત હાજરી બનાવી રહ્યું છે. તેમ જણાવી ભારતનું વિશાળ બજાર, યુવા માનવસંસાધન, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતાની ક્ષમતા તેને વૈશ્વિક વેપારમાં વધુ મહત્વપૂર્ણ સ્થાન અપાવવાની શક્તિ ધરાવે છે તેમ કહ્યુ હતુ. તેમજ “ન્યુ વર્લ્ડ ઓર્ડર એટલે કે નવી વૈશ્વિક વ્યવસ્થામાં આર્થિક, રાજકીય અને વ્યાપારિક સંબંધોમાં પરિવર્તન જોવા મળે છે. આ નવી વ્યવસ્થામાં ભારતનું ધ્યેય માત્ર વેપાર વધારવાનું નથી, પરંતુ ટકાઉ વિકાસ, સમાનતા, ટેકનોલોજીકલ પ્રગતિ અને વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવાનું છે.

આ આંતરરાષ્ટ્રીય સેમિનારનાં મુખ્ય મહેમાન માર્ગીય સ્મીત સ્વામીએ પોતાનાં વકત્વ્યમાં જણાવ્યુ કે, ભારત સરકાર દ્વારા દર્શાવવામાં આવેલ “અમૃતકાળ @ ૨૦૪૭” નો દ્રષ્ટિકોણ દેશના સ્વતંત્રતાના ૧૦૦ વર્ષ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. આ દ્રષ્ટિકોણ હેઠળ ભારતે વૈશ્વિક વેપારમાં વધુ સક્રિય ભૂમિકા ભજવવી, નિકાસ ક્ષમતા વધારવી, નવી ટેકનોલોજી અપનાવવી અને આંતરરાષ્ટ્રીય વેપાર કરારો દ્વારા વિશ્વ સાથે મજબૂત આર્થિક જોડાણ સ્થાપિત કરવા સાથે યુનિ.નાં અભ્યાસર્થી છાત્રોને રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપવા હિમાયત કરી હતી.

કાર્યક્રમ પ્રારંભે અતિથીઓને પુષ્પગુચ્છ, શાલ અને સ્મૃતિભેટ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. બાદમાં ગિરીશભાઇ શર્મા લીખીત સ્વર્ણદિન પુસ્તકનું મહાનુભાવોનાં હસ્તે વિમોચન કરવામાં આવ્યુ હતુ.

ટેક્નીકલ સેશનમાં અશ્વિન સોલંકી અને સુરી મમતાબેન પ્રજાપતિએ વિખદ્યાર્થીઓ સાથે વિષય સંધાન કરી માર્ગદર્શન અને પ્રશન્નોત્તરી કાળમાં “વૈશ્વિક વેપારની બદલાતી ગતિશીલતા અને નવા વિશ્વ વ્યવસ્થામાં ભારતની ભૂમિકા: ૨૦૪૭ સુધીમાં અમૃત કાળનું વિઝનિંગ અંગે દિશાદર્શન કરાવ્યુ હતુ.

કાર્યક્રમ પ્રારંભે ડો. વિનીત્ત વર્માએ આમંત્રિત અતિથીઓ અને વિદ્યાર્થીઓને શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા. કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગનાં વિભાગાધ્યક્ષ ડો. ભાવસિંહ ડોડીયાએ કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યુ હતુ કે, બદલાતી વૈશ્વિક વેપાર પરિસ્થિતિમાં ભારત પાસે નવી તકો અને પડકારો બંને છે. યોગ્ય નીતિઓ, નવીનતા અને વૈશ્વિક સહકાર દ્વારા ભારત “Amrit Kaal @ 2047” સુધી વૈશ્વિક અર્થતંત્રમાં એક મુખ્ય નેતૃત્વભર્યું સ્થાન મેળવી શકે છે.

કાર્યક્રમનાં પ્રથમસત્રનું આભારદર્શન ડો. અનિતાબા ગોહિલે કર્યુ હતુ. આ સેમિનારમાં પ્રિન્સીપાલ એમ.પી. ત્રાડા, ડો. રાજેશ ભટ્ટ , ડો. બલરામ ચાવડા, ડો. જમકુબેન સોજીત્રા, એક્ઝિક્યુટિવ મેમ્બર રાજુભાઇ વાડોદરીયા, પ્રો. નવલ કપુરીયા, પ્રો. સુહાસ વ્યાસ, ડો. રાજેશ રવિયા, ડો. નિશીથ ધારૈયા, સહિત વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જે પૈકી ૧૨૫ વિદ્યાર્થીઓએ પેપર પ્રેઝન્ટેશન કર્યુ હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande