

અંબાજી, 10 માર્ચ (હિ.સ.)મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના છેવાડાના ગામ અને ઘર સુધી ૨૪ ×૭ વિજળી મળી રહે તે માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાના ભાગરૂપે રાજયના ઊર્જા વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કપાસિયા,ખારી, ઝાંબા તેમજ હડાદ તાલુકાના રાણપુર-બંગલા અને મહુડા ગામોમાં વર્ષોથી સતત પુરતા વોલ્ટેજ સાથે વિજળીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. દાંતા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડીએ તા. ૨૮ ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં આ ગામોને વિજળી મળતી નથી તેવા કરેલા આરોપો તદ્દન પાયા વિહોણા છે તેમ, સ્થળ તપાસ બાદ વિગતો આપતાં આજે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, અમારા ઊર્જા વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતોને સતત અને પુરતા વૉલ્ટેજ સાથે વિજળી મળી રહે તે માટે ખેતર સુધી ટ્રાન્સફોર્મર ઉભા કરાયા છે. આ સિવાય પણ જ્યારે કોઈ ટેક્નિકલ ખામી આવે અથવા કોઈ ફરિયાદ આવે ત્યારે તેનો તાત્કાલિક ઉકેલ લાવીને વિજળી પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવે છે.મંત્રી પટેલે આ ગામોમાં ક્યારે વિજળી આવી તે અંગે વધુ વિગતો આપતાં ગૃહમાં કહ્યું હતું કે,આ પાંચ ગામોના કુલ ૧,૭૮૮ ગ્રાહકોને પુરતા વોલ્ટેજ સાથે સતત વિજળી આપવામાં આવે છે. જેમાં કપાસિયા ગામમાં વર્ષ ૧૯૮૮માં વિજળી આપવામાં આવી હતી. જેનો હાલમાં ૮૧૬ ગ્રાહકો લાભ લઈ રહ્યા છે. આ ગામને ૧૧ કેવી કપાસિયા જ્યોતિગ્રામ ફીડરનો પુરતા વૉલ્ટેજ સાથે પાવર મળે છે. આજ રીતે ખારી ગામમાં વર્ષ ૧૯૯૩થી વિજળી પહોચાડવામાં આવી છે.જ્યાં હાલમાં ૩૭૪ ગ્રાહકો છે. આ ગામને ૧૧ કેવી અમીરગઢ જ્યોતિગ્રામ ફીડરનો પુરતો પાવર મળે છે.જ્યારે ૪૮ ગ્રાહકો ધરાવતા ઝાંબા ગામમાં વર્ષ ૨૦૦૭થી વિજળી પહોંચી છે. આ ગામને ૧૧ કેવી અમીરગઢ જ્યોતિગ્રામ ફીડરનો પાવર આપવામાં આવે છે. આ ઉપરાંત ૪૧૨ ગ્રાહકો ધરાવતા રાણપુર-બંગલા ગામમાં વર્ષ ૨૦૦૦થી વિજળીની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે. આ ગામને ૧૧ કેવી રૂપપુરા જ્યોતિગ્રામ ફીડરનો પાવર આપવામાં આવે છે. જ્યારે ૧૩૮ ગ્રાહકો ધરાવતા મહુડા ગામમાં વર્ષ ૨૦૦૯થી વિજળી આપવામાં આવે છે. આ ગામને ૧૧ કેવી રૂપપુરા જ્યોતિગ્રામ ફીડરનો સતત પાવર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ પ્રગતિ દર્શાવે છે કે છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડવા માટે અમારી સરકાર કટિબદ્ધ છે. આથી ધારાસભ્ય દ્વારા ગૃહમાં કરવામાં આવેલા આરોપો ખોટા છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ