
વલસાડ, 12 માર્ચ (હિ.સ.) : વલસાડ નગરપાલિકાએ વર્ષ 2026-27 માટે આશરે રૂ. 165 કરોડનું પુરાંતલક્ષી બજેટ પસાર કર્યું છે. આ બજેટમાં કુલ રૂ. 1,65,77,16,092 જેટલી આવકનો અંદાજ મૂકવામાં આવ્યો છે જ્યારે રૂ. 1,65,04,62,270 જેટલો ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો છે. બજેટ અનુસાર તમામ ખર્ચ બાદ પણ પાલિકાની તિજોરીમાં નોંધપાત્ર સિલક રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
પાલિકાના અંદાજ મુજબ વર્ષના અંતે આશરે રૂ. 36.73 કરોડ જેટલી બચત રહેવાની ધારણા છે. આ વધારાની રકમ શહેરના વિવિધ વિકાસલક્ષી કાર્યો માટે ઉપયોગી બનશે અને નગરજનોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવામાં મદદરૂપ બનશે.
વર્ષ 2025-26 ના સુધારેલા અંદાજ મુજબ પાલિકાની મહેસુલી આવક, ડિપોઝિટ અને એડવાન્સ મળીને કુલ રૂ. 116.42 કરોડ સુધી પહોંચી છે, જ્યારે તેની સામે રૂ. 100.74 કરોડ જેટલો ખર્ચ નોંધાયો છે. આવકના મુખ્ય સ્ત્રોત તરીકે મહેસુલી આવકનો મોટો ફાળો છે, જે અંદાજે રૂ. 52.64 કરોડ જેટલો રહેવાની શક્યતા છે. ઉપરાંત ગ્રાન્ટ અને વિવિધ ફંડ દ્વારા પણ આવક મેળવવાનું આયોજન છે.
નગરપાલિકાના વહીવટી તંત્રનું કહેવું છે કે શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. પુરાંતલક્ષી બજેટ હોવાને કારણે વિકાસ કાર્યો, રસ્તા, પાણી અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓમાં વધારો કરવામાં નાણાકીય અડચણ ઉભી થવાની શક્યતા ઓછી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે