
જામનગર, 14 માર્ચ (હિ.સ.) :
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ ધન્વન્તરી આરોગ્ય રથ યોજના અંતર્ગત ધન્વન્તરી આરોગ્ય રથને આજે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા કલેકટર કચેરી ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા મેડીકલ સ્ટાફ પાસેથી દવાઓનો સ્ટોક, વાહનનો રૂટ વગેરે અંગે માહિતી મેળવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો મુખ્ય હેતુ ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં રહેતા નાગરિકોને તેમના ગામડાં નજીક જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.
ધન્વન્તરી આરોગ્ય રથના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી, દવાઓ તથા જરૂરી માર્ગદર્શન મળી રહે તે પ્રકારે આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવા લગત અધિકારીઓ અને સ્ટાફને સૂચનો કર્યા હતા.
આ રથમાં તબીબ અને આરોગ્ય કર્મચારીઓની ૫ લોકોની ટીમ સાથે જરૂરી દવાઓ, તબીબી સાધનો અને પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ છે. રથ ગામે ગામ જઈને નાગરિકોની આરોગ્ય તપાસ કરશે અને જરૂર હોય તેવા દર્દીઓને યોગ્ય સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે.
ધન્વન્તરી આરોગ્ય રથ દ્વારા બ્લડ પ્રેશર, મલેરિયા ટેસ્ટ, ડાયાબિટીસ, સામાન્ય ચકાસણી, સેનેટરી પેડ્સનું વિતરણ, માતા-બાળ આરોગ્ય સંબંધિત માર્ગદર્શન તથા વિવિધ રોગો અંગે જાગૃતિ ફેલાવવાની કામગીરી પણ કરવામાં આવે છે. જામનગર જિલ્લામાં હાલ ચાર ધન્વન્તરી આરોગ્ય રથ કાર્યરત છે. જેના માધ્યમથી જામનગર શહેર અને જિલ્લામાં સોમવારથી શનિવાર સુધી શ્રમિક વસાહતોમાં વિનામૂલ્યે લોકોને આરોગ્ય સેવાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt