
સુરત, 14 માર્ચ (હિ.સ.) : ઓલપાડ તાલુકાના પુરષોતમ ફાર્મ ખાતે મિલેટ મેળા તથા પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કિસાન સન્માન દિવસની ઉજવણી અને મિલેટ મેળો યોજાયો હતો. કાર્યક્રમમાં કૃષિ અને કૃષિ સંલગ્ન વિવિધ વિભાગો દ્વારા આયોજિત પ્રદર્શનમાં ખેડૂતોને નવીન ખેતી પદ્ધતિઓ, પ્રાકૃતિક ખેતી, મિલેટ પાકોના મહત્વ અને સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઓલપાડ તાલુકાના ખેડૂતો ભાઈ- બહેનોએ મોટી ખેતી સંબંધિત નવી તકનીકો અને યોજનાઓ અંગે માહિતી મેળવી હતી. વિશેષરૂપે ઓલપાડ તાલુકાના 11 હજારથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ.2 કરોડથી વધુની સહાય જમા થઈ હતી.
પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આસામના ગૌહાટીથી વર્ચ્યુઅલ માધ્યમથી ખેડૂતોના ખાતામાં ૨૨મા હપ્તાની સહાય રકમ DBT મારફતે જમા કરવામાં આવી હતી, જેનું લાઈવ પ્રસારણ પણ ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે તા. પં.ના પ્રમુખ નીતા પટેલ, ઉપપ્રમુખ કિરણ પટેલ, જિ. પં.ના સભ્યો, તા. પં.ના સભ્યો તેમજ કૃષિ- બાગાયત અધિકારીઓ અને વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
--------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે