
જામનગર, 14 માર્ચ (હિ.સ.) :
જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં સ્વાવલંબન અને ગતિશીલતા લાવવાના ઉમદા આશય સાથે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કુલ ૩૦ દિવ્યાંગ લાભાર્થીઓને મોટરાઇઝ્ડ ટ્રાયસાઇકલ (મોટરચાલિત ત્રિ-ચક્રીય વાહન)નું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ હેઠળ ૬૦% કે તેથી વધુ હલનચલનની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને આ અત્યાધુનિક સાધન સહાય વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે.
આ મોટરાઇઝ્ડ ટ્રાયસાઇકલ મળવાથી દિવ્યાંગ વ્યક્તિઓને તેમના દૈનિક જીવનમાં અવરજવર માટે સરળતા રહેશે તેમજ તેઓ વધુ આત્મનિર્ભર બની આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરી શકશે.
આ વિતરણ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હસમુખભાઈ રામાણી, ચીફ ઓફિસર મનોજભાઈ વ્યાસ તેમજ સંસ્થાના અધિક્ષક વિભાભાઈ મેવાડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, દિવ્યાંગોને મોબિલિટી સાધનો પૂરા પાડીને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવું અને સમાજની મુખ્યધારામાં તેમની સક્રિય ભાગીદારી વધારવી એ સરકારનો મુખ્ય હેતુ છે. આવા કલ્યાણકારી કાર્યક્રમો થકી સરકાર દિવ્યાંગોના ઉત્થાન અને સશક્તિકરણ માટે સતત પ્રયત્નશીલ છે. આ સાધન સહાય મેળવીને લાભાર્થીઓએ પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt